કલકત્તા, 10 એપ્રિલ: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના હાથ લોહીથી રંગાયેલા હોવાનો ઉલ્લેખ કરી તેમની ટીકા કરતાં તૃણમૂલ કોંગ્રેસે કહ્યું હતું કે તે આગામી વડાપ્રધાન બનવાનું દિવાસ્વપ્ન જોઇ રહ્યાં છે પરંતુ લોકો એવા દુ:સ્વપ્નને મંજૂર નહી કરે.
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને પ્રવક્તા ડેરેક ઓબ્રાયને કહ્યું હતું કે 'નરેન્દ્ર મોદી એક એવા વ્યક્તિ છે. જેમના હાથ લોહીથી રંગાયેલા છે. તે ભારતને હિન્દુ, મુસ્લિમ, સિખ, ઇસાઇ અને બૌદ્ધના આધારે વહેંચવા મંગે છે. આપણે એવું ભારત ઇચ્છતા નથી, આપણે એકજુટ ભારત ઇચ્છીએ છીએ.'
તેમણે કહ્યું હતું કે 'નરેન્દ્ર મોદી પોતાનો પ્રચાર ભારતના આગામી વડાપ્રધાનના રૂપમાં કરી રહ્યાં છે. તે વડાપ્રધાન બનવાનું દિવાસ્વપ્ન જોઇ રહ્યાં છે. ભારતના લોકો એવા દુ:સ્વપ્નને મંજૂર કરશે નહી.' ઓબ્રાયને દાવો કર્યો હતો કે જ્યારે લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવશે ત્યારે કોઇપણ તૃણમૂલ કોંગ્રેસના સમર્થન વિના વડાપ્રધાન નહી બની શકે.
તૃણમૂલ નેતાએ કહ્યું હતું કે 'તૃણમૂલ કોંગ્રેસ ત્રીજી સૌથી મોટી પાર્ટી બનીને સામે આવશે. તૃણમૂલ કોંગ્રેસ તથા ત્રણ-ચાર સ્થાનિક પાર્ટીઓના ખાતામાં 120 સીટ જશે. એટલા માટે 16 મેના પરિણામો સામે આવશે ત્યારે તૃણમૂલ કોંગ્રેસ ત્યાં હશે.'