નરેન્દ્ર મોદીનું ઇતિહાસ જ્ઞાન હજી પણ નબળુ છે: એનસીપી
મુંબઇ, 23 ડિસેમ્બર: રાકાંપાએ જણાવ્યું કે નરેન્દ્ર મોદી દ્વારા આજે અત્રે એક રેલીમાં આપવામાં આવેલા નિવેદનથી સાબિત થાય છે કે પાર્ટી તરફથી વડાપ્રધાન પદના ઉમેદવારના ઇતિહાસનું જ્ઞાન હજી પણ નબળું છે.
રાકાંપા પ્રવક્તા નવાબ મલિકે આજે અત્રે જણાવ્યું કે 'મોદીનું ઇતિહાસ જ્ઞાન એકવાર ફરી નબળુ સાબિત થયું છે. 1960થી મહારાષ્ટ્રમાં માત્ર 17 મુખ્યમંત્રી થયા છે નહીં કે 26, જેમ મોદીએ દાવો કર્યો છે.' તેમણે જણાવ્યું કે મોદીએ આજે મહારાષ્ટ્રના સ્થાનીય બૉડી કર(એલબીટી)નો વિરોધ કર્યો. આ માત્ર આજ રાજ્યમાં નથી પરંતુ તમામ રાજ્યમાં જ્યાં કરવેરા નથી, ત્યાં આવા કર લાગુ છે.
રાકાંપા નેતાએ જણાવ્યું કે 'મહારાષ્ટ્રથી ઘણા વાહનો સામાન લઇને ઉત્તર ભારત જાય છે. આ તમામ વાહનો ગુજરાત થઇને જાય છે. એવામાં ગુજરાત જે મોટર વાહન ટેક્સ એકત્રિત કરે છે, તે વધારે છે. બીજી બાજું ગુજરાતથી ઓછી સંખ્યામાં વાહનો મહારાષ્ટ્રમાં આવે છે. મોદીએ ગુજરાતને સકારાત્મક રૂપે રજૂ કરવા માટે તથ્યોને ખોટી રીતે રજૂ કર્યા છે.'
રાકાંપા નેતાએ જણાવ્યું કે મોદીની રેલીમાં આવેલી ભીડમાં મોટાભાગના લોકો ગુજરાતના હતા. મલિકે જણાવ્યું કે 'મોદીનું સૂત્ર 'વોટ ફોર ઇન્ડિયા' છે, અમે કહીએ છીએ કે 'વોટ ફોર ભારત'. આવનારી ચૂંટણીમાં ભારત અને ઇન્ડિયાની વચ્ચે સંઘર્ષ થશે.'