નીતિશકુમારની સેવા યાત્રામાં નરેન્દ્ર મોદીના પોસ્ટરથી JDU નારાજ
ગોપાલગંજમાં આ પ્રકારની ઘટના બન્યા બાદ હવે ગયામાં પણ નીતિશકુમારના યાત્રા માર્ગમાં મોદીના ભરપૂર પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. નીતિશકુમાર બુધવારે ગયાની યાત્રા ઉપર હતા. તેઓ ત્યાં કલેક્ટર કચેરી પાસે પહોંચ્યા તે પહેલાથી જ નરેન્દ્ર મોદીના પોસ્ટર્સ ત્યાં લાગ્યા હતા. આ પોસ્ટર્સ પર 'નમો નમો જન જન કી આવાઝ' અને '2014મેં નરેન્દ્ર મોદી કી સરકાર'એવું લખેલું છે.
આ પહેલા પણ બે મેના રોજ નીતિશની ગોપાલગંજમાં સેવા યાત્રા દરમિયાન પણ નરેન્દ્ર મોદી ભાવિ વડાપ્રધાન હોવા અંગેના પોસ્ટર્સ અને બેનર્સ રાતો રાત લાગી ગયા હતા. આ બાબતે બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઝગડાની સ્થિતિ ઉભી થઇ ગઇ હતી.
આ પોસ્ટર્સને લઇને જદયુ નેતાઓ ભારે ગુસ્સામાં છે. તો બીજી તરફ બિહાર ભાજપ તેના હળવાશથી લઇ રહ્યું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ મંગલ પાંડેએ આ મુદ્દે જણાવ્યું કે 'આ તો ભાજપના કાર્યકરોની નરેન્દ્ર મોદી પ્રત્યેની ભાવના છે. તેમાં મને કશું જ ખોટું લાગી રહ્યું નથી. લોકશાહીમાં સૌને પોતાની વાત કહેવાનો હક છે.'
બીજી તરફ જદયુના પ્રવક્તાનું કહેવું છે કે 'આ પોસ્ટર્સ ભડકાઉ છે. આ પોસ્ટર્સને જદયુ અને ભાજપના ગઠબંધનને નુકસાન પહોંચાડવા માટે લગાવવામાં આવ્યા છે. ભાજપનું એક જુથ જેડીયુની વિરુદ્ધ કામ કરી રહ્યું છે. પાર્ટી આ દરેક બાબતો પર ધ્યાન આપી રહી છે. જો કે અમે આ અંગે વધારે પ્રતિક્રિયા આપવા માંગતા નથી.'
ઉલ્લેખનીય છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર 1 મેથી 'સેવા યાત્રા' પર નીકળેલા છે. આ તબક્કામાં તેઓ ગોપાલગંજ, સાતામઢી અને ગયાની મુલાકાત લઇને ત્યાં સભા કરવાના છે.