મોદીએ ‘AK 49’ની દુખતી રગ પર હાથ મુક્યો!
જમ્મુ કાશ્મીરમાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા પોતાના ચૂંટણી અભિયાનની શરૂઆત કરવામાં આવી. સ્વાભાવિક રીતે મોદી પોતાના તીખા શાબ્દિક પ્રહારો માટે જાણીતા છે. જમ્મુ-કાશ્મીરમાં પણ મોદી પોતાના એ જ અંદાજમાં જોવા મળ્યા. જોકે આ વખતે ગાંધી પરિવાર અને કોંગ્રેસ સિવાય પણ એક નવું નામ તેમની યાદીમાં જોડાઇ ગયું હતું. જી હાં, નામ છે, આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ.
અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી પર વિકાસના મુદ્દાઓને લઇને અનેક પ્રહારો કરવામાં આવ્યા, તેમજ તેમને ઉદ્યોગપતિઓના એજન્ટ શુદ્ધા ગણાવી દીધા. તેમ છતાં મોદી દ્વારા એકપણ પ્રકારની પ્રતિક્રયા આપવામાં આવી નહોતી. પરંતુ જેવું કેજરીવાલે જાહેર કર્યું કે તેઓ વારાણસીથી મોદી સામે ચૂંટણી લડશે કે તુરત મોદીના હિટ લિસ્ટમાં કેજરીવાલનું નામ જોડાઇ ગયું. જમ્મુ કાશ્મીરમાં પોતાના વિકાસ મોડલને અને કાશ્મીરીઓને તેમનો હક અપાવવાની વાત કરતાની સાથે મોદીએ પોતાના પ્રહારોના જાળમાં અરવિંદ કેજરીવાલને પણ લપેટી લીધા.
મોદીએ અરવિંદ કેજરીવાલને ‘AK 49' કહીને સંબોધ્યા સાથે જ તેઓ પાકિસ્તાની ભાષા બોલી રહ્યાં છે. પાકિસ્તાનમાં તેમની વાહવાહી થઇ રહી છે અને પાકિસ્તાન તેમના નિવેદનો પર નાચી રહ્યું છે. મોદીએ આ પ્રકારનું નિવેદન કરીને જાણે કે અરવિંદ કેજરીવાલની દુખતી રગ પર હાથ મુકી દીધો હોય તેમ અરવિંદ કેજરીવાલ લાલઘુમ થઇ ગયા છે અને પીએમ પદના ઉમેદવાર દ્વારા આ પ્રકારની ભાષાનો પ્રયોગ ન કરવામાં આવો જોઇએ તેમ કહેવા લાગ્યા છે.
મોદી પાસેથી શિષ્ટ ભાષાની આશા રાખી રહેલા અરવિંદ કજેરીવાલ જો કે ભુલી ગયા છેકે જ્યારે તેઓ કોઇને નિશાન બનાવે છે ત્યારે તે શિષ્ટ ભાષાને નેવે મુકી દેતા હોય છે. બહુ દુર નહીં જઇને ગુજરાતની ચાર દિવસની મુલાકાત લીધા બાદ જે પ્રકારે અરવિંદ કેજરીવાલે મોદી પર પ્રહાર કર્યા છે, તે એકપણ રીતે શિષ્ટ જણાતા નથી. મોદી પર પ્રહાર કરે છે ત્યારે મોદીને અદાણી અને અંબાણીના એજન્ટ(દલાલ) ગણાવે છે. હત્યારા કહીંને સંબોધે છે, રમખાણો કરાવનારા તરીકે સંબોધે છે. ચાલો તસવીરો થકી વધુ જાણીએ.

કાશ્મીરને લઇને પહેલાથી જ શંકાસ્પદ વલણ
અરવિંદ કેજરીવાલના પક્ષ આમ આદમી પાર્ટીએ પોતાની અધિકૃત વેબસાઇટમાં ફંડ આપનારાઓ અંગેની કોલમ બનાવી છે, જેમાં જે પ્રદેશમાંથી તેમને ફંડ આપવામાં આવે છે તે અંગે જણાવાયું છે. આ કોલમમાં પાર્ટી દ્વારા કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ હોવાનું દર્શાવ્યું હતું, જેને લઇને વિવાદ ચગ્યો હતો. તેમજ તેમના જ નેતા પ્રશાંત ભૂષણ પણ કાશ્મીરને લઇને વિવાદિત નિવેદન કરી ચૂક્યા છે. જેને જોતા કાશ્મીરને લઇને તેમનું વલણ પહેલાથી શંકાસ્પદ લાગી રહ્યું છે. ઉપરાંત તેમનો ઘરોબો અરુંધતિ રોય, યાસિન મલિક, વિનાયક સેન, પ્રો. ચિનોય સાથે હોવાથી કાશ્મીર પ્રત્યે તેમનું આ પ્રકારનું વલણ હોઇ શકે છે.

પ્રશાંત ભૂષણનું વિવાદિત નિવેદન
પ્રશાંત ભૂષણે જ્યારે પણ કાશ્મીર સંબંધિત કોઇ નિવેદન કર્યું છે ત્યારે તેઓ વિવાદમાં ફસાયા છે. આમ આદમી પાર્ટીનું કાશ્મીર પ્રત્યે વલણ શા માટે શંકાસ્પદ લાગે છે, તેની પાછળનું કારણ પ્રશાંત ભૂષણના નિવેદનો પણ છે. પ્રશાંત ભૂષણે એક નિવેદનમાં કહ્યું હતું કે, કાશ્મીરમાં સુરક્ષા માટે સેનાને રાખવી કે નહીં એ કાશ્મીરના લોકોને પૂછવું જોઇએ. તમને સેનાની સુરક્ષાની આવશ્યકતા છે કે કેમ એ વિશે જનમત સંગ્રહ કરાવવો જોઇએ. ત્યારબાદ 2011માં ભૂષણે એવું કહ્યું હતું કે ભારતની સાથે રહેવું છે કે કેમ એ જાણવા માટે કાશ્મીરમાં જનમતસંગ્રહ કરાવવો જોઇએ.

શું હતું મોદીનું નિવેદન
મોદીએ જમ્મુ-કાશ્મીરમાં કહ્યું કે, આજકાલ પાકિસ્તાનને ત્રણ સિપાઇ સાલાર મળી ગયા છે, એક છે AK 47, બીજા AK એન્ટોની, અને ત્રીજા છે AK 49. AK 49એ હમણા જ એક પાર્ટીને જન્મ આપ્યો અને તેમની પાર્ટીની વેબસાઇટમાં તેમણે જે નકશો રાખ્યો છે તેમાં પાકિસ્તાનને કાશ્મીર આપી દીધું છે. આ AK 49ના નજીકના સાથી કહી રહ્યાં છે કે જનમત સંગ્રહ થવો જોઇએ અને પાકિસ્તાન તેના નિવેદનોથી નાચી રહ્યું છે. મારું માનવું છેકે AK પાકિસ્તાનના એજન્ટ, હિન્દુસ્તાનના દુશ્મન. જે કાશ્મીર માટે શ્યામા પ્રસાદ મુખરજીએ બલિદાન આપ્યું, જવાનો શહીદ થયા તેમના માટે પાકિસ્તાની ભાષા બોલી રહ્યાં છો, તેથી પાકિસ્તાનને AKથી લાભ થઇ રહ્યો છે, તેમને જાણવાની જરૂર છે.

મોદીના નિવેદન પર કેજરીવાલની પ્રતિક્રિયા
મોદી દ્વારા ‘AK 49' અને પાકિસ્તાનના એજન્ટ જેવી કોમેન્ટ કરવામાં આવ્યા બાદ આપ નેતા અરવિંદ કેજરીવાલ ગિન્નાયા છે. તેમણે મોદીના નિવેદન પર પલટવાર કરતા કહ્યું છે કે, મોદીએ મુદ્દાઓ પર વાત કરવી જોઇએ અને આડી અવળી વાતો ના કરવી જોઇએ. જે પ્રકારના શબ્દો ‘AK 49' અને પાકિસ્તાનના એજન્ટ જેવા શબ્દો મોદી દ્વારા બોલવામાં આવી રહ્યાં છે તે પીએમ પદના ઉમેદવારને શોભતા નથી.












Click it and Unblock the Notifications
