મોદીએ જાહેર કર્યો મેગા પ્લાનઃ કહ્યું, 'મુસ્લિમોને પક્ષ સાથે જોડો'
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેશની જનતા કોંગ્રેસને સત્તા પરથી હટાવવા માગે છે. પક્ષે આ તકનો લાભ ઉઠાવવા માટે સમાજના તમામ વર્ગોને સાથે જોડવા અને પોતાના જનાધાર પર વિસ્તાર કરવામાં લાગી જવું જોઇએ.
લોકસભા ચૂંટણી અંગે પક્ષની તૈયારીની ચકાસણી કરવા માટે દિલ્હીમાં મળેલી ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓ, પ્રદેશ અધ્યક્ષો અને સંગઠન મહામંત્રીઓની બેઠકને સંબોધિત કરતા મોદીએ કહ્યું કે, દેશનો આખો માહોલ કોંગ્રેસ વિરુદ્ધ બનેલો છે. દેશની જનતા કોંગ્રેસ પાર્ટીને સત્તા પરથી હટાવવામાગે છે. તેમને ભાજપ જ વિકલ્પના રૂપમાં જોવા મળી રહી છે.
આ સાથે જ મોદીએ કહ્યું કે, આ તકને પોતાના પક્ષમાં બદલવી એ એક મોટા પડકાર સમાન છે. તેના માટે દરેક બૂથ સ્તર પર જનતા સુધી પહોંચ બનાવીને તેમની સાથે જોડવા જઇશું. આ બેઠકમાં લાલકૃષ્ણ અડવાણી સહિત પક્ષના અનેક વરિષ્ઠ નેતા ઉપસ્થિત હતા.
નરેન્દ્ર મોદીની આગેવાનીથી ઉત્સાહિત ભાજપે એકલા 272 બેઠક જીતવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. તેના માટે ભાજપે મુસ્લિમ મત પર નજર ટેકવી છે. ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જો ગુજરાતમાં 25 ટકા મુસ્લિમ મતદારો અમને મત આપી શકે છે તો દેશના બીજા હિસ્સામાં કેમના ના કરી શકે?