આજે નરેન્દ્ર મોદી દિલ્હીમાં અડવાણીના આશીર્વાદ લેશે
ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ દાયકામાં એવું પહેલીવાર બન્યું છે જ્યારે એલ કે અડવાણી ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં હાજર રહ્યા ના હોય. આ કારણે તેમની અને નરેન્દ્ર મોદી વચ્ચેની નારાજગી સામે આવી હોવાનું નિષ્ણાતો માને છે. બંને નેતાઓ વચ્ચે વધી રહેલા અંતરને ઓછું કરવા જ નરેન્દ્ર મોદી આજે દિલ્હી જવાના છે.
રાજકીય પ્રવાહોને પારખવામાં માહેર મોદીએ પોતાને પ્રચાર સમિતિના અધ્યક્ષનું પદ મળતા જ તેના પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. આ માટે તેમણે સૌ પ્રથમ પોન પર લાલ કૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા હતા. ત્યાર બાદ પોતાને સમર્થન આપનારા નેતાઓનો આભાર માન્યો હતો.નોંધનીય છે કે લોકસભા ચૂંટણી 2014 માટે ભાજપની પ્રચાર સમિતિના અધ્યક્ષ તરીકે નરેન્દ્ર મોદીના નામની સત્તાવાર જાહેરાત થઈ ગયા બાદ તરત જ પક્ષમા નવા એક યુગની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ભાજપના વરિષ્ઠનેતા અડવાણીની બેઠકમાં ગેરહાજરીનો સંકેત પોસ્ટરોમાં અને બેનરોમાં જોવા મળ્યો હતો. ગોવામાં ભાજપના કાર્યકર્તા સંમેલનમાં જે પોસ્ટર લગાવવામાં આવ્યું હતું તેમાં ભાજપના વરિષ્ઠનેતા અડવાણી અને વાજપેયીની બાદબાકી કરવામાં આવી હતી. આ એજ મંચ હતો જેના પર મોદી સંબોધન કરવાના હતા. પરંતુ થોડાક સમય બાદ પક્ષના કાર્યકર્તાઓને પોતાની ભૂલ સમજાતા તેમણે તરત જ આ પોસ્ટરની બાજુમાં વાજપેયી અને અડવાણીના પોસ્ટર લગાવી દીધા હતા.