મુંબઇ, 27 એપ્રિલ : લોકસભા ચૂંટણી 2014માં ચૂટણી પંચે મહારાષ્ટ્રમાં કુલ ત્રણ લોકસભા બેઠકો પર ચાર મતદાનકેન્દ્રોમાં રવિવારે ફેરમતદાન કરાવવાની જાહેરાત કરી છે. આમાંથી ત્રણ બૂથ મુંબઈમાં છે. જ્યારે એક બૂથ અહમદનગરના શ્રીગોંદામાં છે.
આ ફેરમતદાન ચૂંટણી યાદીઓમાં થયેલા ગોટાળાને કારણે મતદાન ન કરી શકેલા મતદારોને મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે નથી કરવામાં આવી રહ્યું, પરંતુ ઈવીએમ મશીનમાં વાસ્તવિક કરતાં વધુ મતો નોંધાયા હોવાને કારણે સર્જાયેલા ગુંચવાડાને દૂર કરવા માટે કરાવવામાં આવી રહ્યું છે.
મતદાન માટે ઈવીએમ મશીનને રાખવામાં આવે તે પહેલાં તેની ચકાસણી માટે કેટલાક મતો નાખવામાં આવતા હોય છે, જેને મોક પોલિંગ કહેવામાં આવે છે. દરેક ઉમેદવાર આવી રીતે કરવામાં આવતા મોક પોલિંગ વખતે હાજર રહેતા હોય છે.
આ પ્રક્રિયાનો હેતુ મશીન બરાબર કામ કરે છે કે નહીં તેની ચકાસણી કરવાનો હોય છે. ચકાસણી થઈ ગયા બાદ મશીનમાંથી આવી રીતે કરવામાં આવેલા બધા જ મતોને ક્લિયર એટલે કે સાફ કરી નાખવાના હોય છે, પરંતુ બેદરકાર અને બેજવાબદાર ચૂંટણી અધિકારીઓ મોક પોલને સાફ કરવાનું ભૂલી ગયા એટલે આ કેન્દ્રો પર આ મશીનમાં વાસ્તવિક મતદાન કરતાં વધુ મતો નોંધાયા અને તેથી જ આ કેન્દ્રો પર ફરી મતદાન રાખવામાં આવ્યું છે.
ચૂંટણી પંચના એક અધિકારીએ સમગ્ર પ્રકરણ અંગે જણાવ્યું હતું કે ચૂંટણી શરૂ થાય તેના કેટલાક કલાકો પહેલાં મોક પોલ કરવામાં આવે છે, જેથી મશીનો બરાબર કામ કરે છે કે નહીં તેની ખાતરી કરી શકાય. જ્યારે મતગણતરી હાથ ધરવામાં આવી ત્યારે એવું ધ્યાનમાં આવ્યું હતું કે વાસ્તવિક મતદાન કરતાં આ બૂથ પર વધુ મતો નોંધાયા હતા. વાસ્તવમાં અમે મોક પોલ માટે જે મત નાખ્યા હતા તે તેમાં વધી ગયા હતા, જેથી ફેરમતદાનનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અહીં કરાશે ફેરમતદાન
ઉત્તર મુંબઈના ચારકોપમાં બૂથ નંબર 243
ઉત્તર મુંબઈના મલાડ-વેસ્ટમાં બૂથ નંબર 242
ઉત્તર-મધ્ય મુંબઈના ચાંદિવલીમાં બૂથ નંબર 160
અહમદનગરના શ્રીગોંદામાં બૂથ નંબર 160