મુસ્લિમ મહિલાએ હજ માટે જમા કર્યા હતા પૈસા, સારુ કામ જોઈ RSS સાથે જોડાયેલી સંસ્થાને દાન કર્યા
જમ્મુ કાશ્મીરના નિવાસી એક વૃદ્ધ મહિલાએ હજ માટે જમા કરેલા પૈસા આરએસએસ(રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) સાથે જોડાયેલી સંસ્થા ‘સેવા ભારતી'ને દાન કરી દીધા છે.
કોરોના વાયરસ (કોવિડ-19)ના વધતા જોખમને રોકવા માટે દરેક જણ મદદનો હાથ લંબાવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના નિવાસી એક વૃદ્ધ મહિલાએ હજ માટે જમા કરેલા પૈસા આરએસએસ(રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) સાથે જોડાયેલી સંસ્થા 'સેવા ભારતી'ને દાન કરી દીધા છે. 87 વર્ષના ખાલીદા બેગમે સંસ્થાને પાંચ લાખ રૂપિયાની રકમ દાન કરી છે. તે સંસ્થાના લૉકડાઉન દરમિયાન કરેલા કામથી ઘણા પ્રભાવિત થયા છે.
આરએસએસ મીડિયા વિંગ ઈન્દ્રપ્રસ્થ વિશ્વ સંવાદ કેન્દ્ર (આઈવીએસકે)ના હેડ અરુણ આનંદે જણાવ્યુ, 'ખાલીદા બેગમ કોરોના વાયરસના કારણે લાગેલા લૉકડાઉનમાં જમ્મુ કાશ્મીરમાં સેવા ભારતી દ્વારા કરાયેલ કલ્યાણકારી કાર્યોથી પ્રભાવિત હતા અને પાંચ લાખ રૂપિયા દાન કરવાનો નિર્ણય કર્યો. તે ઈચ્છે છે કે આ પૈસાનો ઉપયોગ સેવા ભારતી દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં ગરીબો અને જરૂરિયાત ધરાવતા લોકો માટે કરવામાં આવે. તેમણે હજ કરવા માટે આ રકમ બચાવીને રાખી હતી પરંતુ વર્તમાન સ્થિતિના કારણે તે જઈ શક્યા નહિ.'
અરુણ આનંદે આગળ કહ્યુ, 'ખાલીદા બેગમ જમ્મુ કાશ્મીરની પહેલી અમુક મહિલાઓમાંની એક છે જેમણે અંગ્રેજી માધ્યમનુ શિક્ષણ મેળવેલુ છે. તે કર્નલ પીર મોહમ્મદ ખાનના વહુ છે જે જનસંઘના અધ્યક્ષ હતા. ખાલીદા બેગમ પૂર્વ આઈપીએસ અધિકારી અને ઉપ રાજ્યપાલના વર્તમાન સલાહકાર ફારુખખાનની મા છે. દેશમાં લૉકડાઉનની ઘોષણા બાદથી સેવા ભારતીના સ્વયંસેવક જરૂરિયાતમંદોને ભોજન અને અન્ય જરૂરી વસ્તુઓ પૂરી પાડી રહ્યા છે.'
સંઘ સાથે જોડાયેલા સ્વયંસેવકોને શનિવારે દિલ્લીના આનંદ વિહાર બસ ટર્મિનલ પર ભીડનુ મેનેજમેન્ટ કરતા અને તેમને ભોજન આપતા પણ જોવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે ભારતમાં પણ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. દેશમાં સંક્રમિત કેસોની સંખ્યા વધીને 1205 થઈ ગઈ છે જ્યારે આ મહામારીથી 32 લોકોના મોત નીપજ્યા છે. કોરોના વાયરસના કારણે દેશમાં 21 દિવસસુધી લૉકડાઉન છે, આજે લૉકડાઉનનો સાતમો દિવસ છે.
આ પણ વાંચોઃ અમેરિકામાં કોરોના વાયરસથી 3000થી વધુ મોત, સંક્રમિત દર્દી દોઢ લાખને પાર