મુઝફ્ફરનગર રમખાણ: સુપ્રીમે ફટકારી કેન્દ્ર અને યુપી સરકારને નોટિસ
નવી દિલ્હી, 18 નવેમ્બર: મુઝફ્ફરનગરમાં હાલમાં જ થયેલા રમખાણોની તપાસ રાજ્ય પોલીસ પાસેથી લઇને કોઇ સ્વતંત્ર એજન્સીને સોંપવાની માંગ કરનાર અરજી પર આજે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ ફટકારી છે.
મુખ્ય ન્યાયાધીશ પી. સદાશિવમના નેતૃત્વવાળી પીઠે સરકારને આ અંગે પ્રતિક્રિયા આપવા માટે જણાવ્યું અને સુનાવણીને 21 નવેમ્બર સુધી મોકૂફ રાખી દીધી છે. કોર્ટે આ આદેશ મેરઠની જાટ મહાસભાની એ જનહિત અરજી પર આપ્યો, જેમાં ઉત્તર પ્રદેશ પોલીસની તપાસ પર સવાલ ઉઠાવતા કોઇ અન્ય એજન્સી દ્વારા કરાવવાની માંગ કરવાની અપીલ કરી હતી.
રમખાણ પીડિત જિલ્લા મુઝફ્ફરનગર, શામલી, બાગપત, સહારનપુર અને મેરઠમાં 6315 લોકોની વિરુધ્ધ કુલ 565 કેસ નોંધવામાં આવ્યા છે. આ રમખાણોમાં 62 લોકોના મોત થયા હતા અને 40 હજાર લોકો ઘરવિહોણા બન્યા હતા. હજારો લોકો હજી પણ રાહત શિબિરમાં આશ્રિત છે.