મારા દેશના વેપારીઓ પર મને વિશ્વાસ છેઃ મોદી
નવી દિલ્હી, 27 ફેબ્રુઆરીઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા દિલ્હી ખાતે ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ કોન્વેન્શનમાં સંબોધન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે દેશમાં વેપારને કેવી રીતે વધારી શકાય અને ગ્લોબલ માર્કેટમાં આવી રહેલા પડકારોને કેવી રીતે ઝીલી શકાય તે અંગે ઉદ્બોધક સંબોધન કર્યું હતું.
તેમણે કહ્યું કે, ખેડૂતો, મજૂરો, વ્યાપારીઓ કે પછી અન્ય કોઇ પણ હોય તે બધા રાષ્ટ્ર માટે કામ કરી રહ્યાં છે અને બધામાં રાષ્ટ્ર માટે કામ કરવાની એક સ્પિરિટ સરખી છે. હાલ રાષ્ટ્રમાં જે ફેશન ચાલી રહી છે, તેને દિલ્હીમાં જ રોકવાની જરૂર છે. આપણે રાજ્યો પર વિશ્વાસ મુકવો પડશે. દરેક રાજ્યની પોતાની એક અલગ શક્તિ અને સામર્થ્ય હોય છે.
આપણા વડવાઓએ વિશ્વને એક વેપારી તરીકે કવર કરેલું હતું, વેપાર એ લોકોને એકીકૃત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. વેપારમાં જે વૈશ્વિક પડકારો આવી રહ્યાં છે, તેનાથી આપણે ડરવાની જરૂર નથી. આ પડકારોને આપણે તકમાં ફેરવાની છે, જો તેએ 10 ડગ આગળ વધતા હોય તો આપણે 15 ડગ આગળ વધવાની વૃત્તિ રાખવી પડશે. અત્યારે પુસ્તકો ખરીદવા માટે બહુ ઓછા લોકો દૂકાનોમાં કે સ્ટોરમાં જતા હશે, બધું ઓનલાઇન થઇ ગયું છે, આપણે પણ ઓનલાઇન ટ્રેડને વધારો આપવો પડશે.
સાચો વેપારીએ છે જેનામાં જોખમ ઉઠાવવાની પ્રતિભા હોય. મને મારા દેશના વેપારી પર વિશ્વાસ છે. તેઓ સફળ નીવડી શકે છે. યુરોપિયન દેશો કરતા ભારતના રાજ્યોમાં ઘણા વેપારીઓ છે. જો લોકોની ખરીદ શક્તિને વધારવામાં આવે તો નાના વેપારીઓ પણ કમાઇ શકે છે. તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે દુઃખની વાત છે કે સરકાર એવું સમજે છે કે બધા જ ચોર છે, સરકાર હોય કે સમાજ બધાને એકબીજા પર વિશ્વાસ હોવો જરૂરી છે.