જમ્મુ કાશ્મીરના સાંબામાં PM મોદીની સભા, AK 47ના ટ્રિગર કરતા વોટર્સની આંગળીમાં વધુ તાકાત
સાંબા, 8 ડિસેમ્બર : જમ્મુ-કશ્મીરમાં આતંકી હુમલાની ઘટના છતાં આજે શ્રીનગરના સાંબા મતવિસ્તારમાં યોજવામાં આવેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રચાર રેલીએ લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. વડાપ્રધાન મોદીએ કશ્મીરના સાંબામાં પોતાની પહેલી પ્રચાર રેલીનું સંબોધન કરતા જણાવ્યું હતું કે એકે 47ના ટ્રિગરમાં જેટલી તાકાત નથી હોતી તેટલી તાકાત વોટર્સની આંગળીમાં હોય છે.

મોદીએ પોતાની સભામાં ઉદબોધનની શરૂઆતમાં જ આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે તેમણે જનમેદની જોતાં કહ્યું હતું કે કશ્મીરમાં આ પ્રકારની પ્રચાર રેલી પહેલા કદી જોવામાં આવી નથી.
તેમણે લોકોને વિશ્વાસ અપાવતાં કહ્યું કે જે રીતે જનતાએ મોટા પ્રમાણમાં મતદાન કરી દેશ માટે પ્રેમ દર્શાવ્યો છે એ જ પ્રમાણે વિકાસની મદદથી તેઓ જનતાને પ્રેમ વ્યાજસહિત પાછો આપશે.
કશ્મીરના લોકોના જીવધોરણ સુધારવા માટે મોદીએ અહીંના યુવાનોના શિક્ષણ અને રોજગારીના મુદ્દાને પણ મહત્ત્વનો ગણાવ્યો હતો. તેમણે પોતાની અનોખી શૈલીમાં કહ્યું હું કે કશ્મીરના યુવાનોના હાથમાં એકે-47 નહીં, પરંતુ એન્ડ્રોઈડ વનની જરૂર છે. આ માટે જનતાને અપીલ કરતાં તેમણે કહ્યું હતું કે ભાંગેલી-તૂટેલી સરકારથી ભાજપ કદી વિકાસ કરી શકશે નહીં. આ માટે એક સ્વસ્થ પૂર્ણ સરકાર રચવી અનિવાર્ય છે.
સાંબા બાદ મોદી શ્રીનગરમાં રેલી યોજશે. થોડા દિવસ પહેલાંના આતંકી હુમલા બાદ મોદીની આ રેલી માટે સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે.
મોદીએ પોતાની સભામાં જમ્મુ કાશ્મીરમાં વર્તમાન સમયમાં જેમની સરકાર છે તે ઓમર અબ્દુલ્લાને તાકીને કહ્યું હતું કે જમ્મુમાં પરિવારવાદવાળી સરકારે સ્થિતિને વધારે તંગ બનાવી છે. બાપ દીકરાની સરકારે પ્રદેશને લૂંટી લીધો છે.
મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું કે સરકારમાં રહેવા માટે કોંગ્રેસે પણ નેશનલ કોન્ફ્રન્સની મનમાની ચલાવી લઇને તેમને સાથ આપ્યો છે. પણ જ્યારે જનતાને જવાબ આપવાનો આવે છે ત્યારે તે મોઢું ફેરવી લે છે.












Click it and Unblock the Notifications
