'લાલ કિલ્લા' પરથી જનતાને સંબોધિત કરશે નરેન્દ્ર મોદી
રાયપુર, 6 સપ્ટેમ્બર: ભાજપને લોકસભાની ચુંટણી બાદ કેન્દ્રની સત્તા પર કબજો મેળવવા માટે તનતોડ મહેનત કરવામાં જોડાયેલા ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના બિનજાહેર વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી હવે લાલ કિલ્લા પરથી લોકોને સંબોધિત કરશે, પરંતુ લાલ કિલ્લો દેશની રાજધાની દિલ્હીનો નથી પરંતુ છત્તીસગઢના અંબિકાપુરનો હશે.
ભલે જ દેશના વડાપ્રધાન બનીને દિલ્હીના લાલ કિલ્લા પરથી દેશની જનતાને સંબોધિત કરવાનું નરેન્દ્ર મોદીનું સપનું હજુ સુધી દુર છે, પરંતુ ભાજપના કાર્યકર્તાઓએ તેમની ઇચ્છા પુરી કરવા માટે છત્તીસગઢમાં આયોજીત થનારી આ રેલીની સજાવટ લાલ કિલ્લાના તર્જ પર કરીને તેમના સપનાને પુરું કરવાનો જુગાડ કરી રહ્યાં છે.
7 સપ્ટેમ્બરના રોજ નરેન્દ્ર મોદી છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહની વિકાસ યાત્રાને સંબોધિત કરવા માટે અહી આવી રહ્યાં છે. નરેન્દ્ર મોદીની આ રેલીને લઇને ભાજપમાં ઘણો ઉત્સાહ છે. અંબિકાપુરમાં ભાજપની એક વિશાળ રેલીને સંબોધિત કરનાર નરેન્દ્ર મોદીને લઇને કાર્યકર્તાઓમાં ઉત્સાહ સ્પષ્ટપણે જોઇ શકાય છે. જો કે નરેન્દ્ર મોદી પહેલાં જ સ્પષ્ટ કરી ચૂક્યાં છે કે તે વડાપ્રધાન બનવાનું સપનું જોઇ રહ્યાં નથી, પરંતુ ભાજપ તેમને પોતાનું હથિયાર બનાવી ચુકી છે.
ભાજપ નરેન્દ્ર મોદીને સામે રાખીને સત્તાની મેળવવા માંગે છે. એવામાં તેમને વડાપ્રધાનની પૂર્વાનુભૂતિ કરવા માટે ભાજપ કાર્યકર્તાઓએ તેમના માટે લાલ કિલ્લાના તર્જ પર રેલીની સજાવટ કરી છે.
આ ખાસ લાલ કિલ્લાને બનાવવા માટે કલકત્તા અને રાજસ્થાનના કારીગર દિવસ રાત મહેનત કરી રહ્યાં છે. વાંસ, વાળીઓ, થર્મોકોલ અને કપડાંથી તૈયાર લાલકિલ્લો દિલ્હીના લાલ કિલ્લા જેવો જોવા મળે છે. અંબિકાપુરના પીજી કોલેજના મેદાનમાં લાલકિલ્લાનું નિર્માણ લગભગ પુરૂ થઇ ગયું છે.
આ લાલકિલ્લાની સાઉન્ડ સિસ્ટમની જવાબદારી મહારાષ્ટ્રના ટેક્નિશિયનને સોંપવામાં આવી છે, જ્યારે મંચ અને સાજ શણગાર વ્યવસ્થા અંબિકાપુર જિલ્લા વહિવટી તંત્ર સંભાળી રહ્યું છે.
આ લાલકિલ્લાને બનાવવા માટે લગભગ 500 કારીગર અને બીજા ટેક્નિશિયંસની ટીમ લાગેલી છે. લાલકિલ્લાથી ભાષણ આપીને નરેન્દ્ર મોદી છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભાની ચુંટણી માટે કાર્યકર્તાઓમાં જોશ ભરશે.