મમતાની નજર સો બેઠકો પર, કહ્યું 'મોદી નહીં બની શકે PM'
નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી: સમાજ સેવી અણ્ણા હજારેનું મળેલાં સમર્થન બાદ લોકસભા ચૂંટણીમાં લગભગ સો બેઠકો જીતવાનું સપનું જોઇ રહેલી પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં બની શકે. મમતાએ આઇબીએન-7માં રાજદીપ સરદેસાઇ સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમે અણ્ણા હઝારેનો ઉપયોગ નથી કરી રહ્યા, મમતાના કહેવા પ્રમાણે તેઓ વૃધ્ધ હોવા છતાં સમાજ સેવામાં વ્યસ્ત છે, માટે અમે તેમની ઇજ્જત કરીએ છીએ.
મમતાએ એ વાતનો ઇનકાર કર્યો છે કે તે ચૂંટણી બાદ ભાજપ અને કોંગ્રેસની સાથે જઇ શકે છે. તેમણે જણાવ્યું કે અમે પહેલા અટલ બિહારી વાજપેઇની સરકારનું સમર્થન કર્યું પરંતુ જ્યારે રામ મંદિરનો મુદ્દો આવ્યો તો અમે તેમનાથી અલગ થઇ ગયા. પોતાના સમર્થકોમાં દીદીના નામથી જાણીતી મમતાએ એ વાતનો અસ્વીકાર કરી દીધો કે તેઓ મુસ્લિમ વોટ બેંક બચાવવા માટે ભાજપનું સમર્થન આપવા નથી માંગતી. તેમનું કહેવું છે કે અમારી સાથે માઇનોરિટી અને મેજોરિટી તમામ લોકોનું સમર્થન છે.
તેમણે વર્તમાન ઓપિનિયન પોલને નકારી કાઢતા જણાવ્યું કે તેનો કોઇ અર્થ નથી. જો ત્રણ દિવસ બાદ ફરી સર્વે કરવામાં આવે તો ખબર નથી કે શું થશે? મોદી પર મમતાના કડક વલણનું કારણ એવું કહેવામાં આવી રહ્યું છે કે તે મોદીનો વિરોધ એટલા માટે કરી રહી છે જેથી લોકસભા ચૂંટણીમાં ટીએમસીની બેઠકો ભાજપને ના મળે. જો તે ચૂંટણી પહેલા જ મોદીનું સમર્થન કરશે તો ટીએમસીનો વોટર ભાજપમાં શિફ્ટ થઇ શકે છે. કેન્દ્રમાં એક મોટી શક્તિ બનવા માટે જરૂરી છે કે તે પશ્ચિમ બંગાળમાં વધારે બેઠકો જીતે.
આ ઉપરાંત દિલ્હીના કેટલાંક મહિલા સંગઠનો, દિલ્હી વિશ્વવિદ્યાલય અને જવાહર લાલ નેહરુ યુનિવર્સિટીના પ્રોપેસરોને અણ્ણા અને મમતાની સાથે આવવાનો વિરોધ કર્યો છે, તેમણે પત્ર લખીને કહ્યું કે જ્યારથી પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકાર બની છે, ત્યારથી મહિલાઓની સુરક્ષા મુશ્કેલમાં પડી ગઇ છે.