સંસદમાં લાગ્યા 'વડાપ્રધાન ભાનમાં આવો'ના નારા!
નવી દિલ્હી, 28 એપ્રિલ: વડાપ્રધાનના વિદેશ પ્રવાસ દરમિયાન કોંગ્રેસ પર નિશાનો સાધવા પર આજે રાજ્યસભામાં જોરદાર હોબાળો થયો. કોંગ્રેસે વડાપ્રધાનની રાજ્યસભામાં જોરદાર ટીકા કરતા જણાવ્યું કે વડાપ્રધાને ભારતની દુનિયામાં બદનામી કરી છે.
કોંગ્રેસ નેતા આનંદ શર્માએ જણાવ્યું છે કે વડાપ્રધાને વિદેશ પ્રવાસમાં નેહરૂથી લઇને અટલ બિહારી વાજપેઈ સુધીના નેતાઓનું અપમાન કર્યું છે. તેમણે જણાવ્યું કે જે પ્રકારે વડાપ્રધાન મોદીએ પાછલી સરકાર વિરુદ્ધ અપમાનજનક ભાષાનો પ્રયોગ કર્યો છે તેનાથી દેશની છબીને નુકસાન પહોંચ્યું છે.

માયાવતીએ પણ આપ્યો કોંગ્રેસને સાથ
કોંગ્રેસે જ્યારે રાજ્યસભામાં વડાપ્રધાનના વિદેશ પ્રવાસ દરમિયાન કોંગ્રેસ પર હુમલાના મુદ્દા ઊઠાવ્યા તો તેને તમામ વિપક્ષનો સાથ મળ્યો. રાજ્યસભામાં આ મુદ્દાને લઇને જોરદાર હોબાળો થયો. જ્યારે બસપા અધ્યક્ષ માયાવતીએ પણ કોંગ્રેસને સમર્થન આપતા જણાવ્યું કે વડાપ્રધાને વિદેશી પ્રવાસ દરમિયાન દેશની વાત કરવી જોઇએ, પોતાના જ દેશની છબી ખરાબ ના કરવી જોઇએ.
'વડાપ્રધાન ભાનમાં આવો' એવા નારા લાગ્યા
વિપક્ષના સાંસદોએ આનો વિરોધ કરતા વેલમાં પહોંચીને 'વડાપ્રધાન ભાનમાં આવો' એવો સૂત્રોચ્ચાર કર્યો હતો. ત્યારબાદ સંસદની કાર્યવાહી થોડીવાર માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.
વડાપ્રધાને ટોરંટોમાં શું કહ્યું હતું?
વડાપ્રધાને ટોરંટોમાં જણાવ્યું હતું કે તેઓ ભારતની છબી 'સ્કેમ ઇન્ડિયા'થી 'સ્કિલ ઇન્ડિયા'ની બનાવવા માંગે છે. કોંગ્રેસે આ મોદીના આ ભાષણ પર વાંધો ઊંઠાવ્યો અને સ્પષ્ટીકરણ માંગ્યું. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યું કે વડાપ્રધાનના આ નિવેદનથી ભારતનું અપમાન થયું છે.












Click it and Unblock the Notifications
