નવી દિલ્હી, 20 મેઃ નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા તરીકે આજે ચૂંટવામાં આવ્યા છે. સંસદ ભવને પહોંચ્યા બાદ નરેન્દ્ર મોદીએ ભવન ખાતે માથુ ટેકવ્યું હતું અને નેતા તરીકે પસંદગી પામ્યા બાદ તેમણે ભવનમાં ઉપસ્થિત સભ્યોનું સંબોધન કર્યું હતું. જ્યા તેમણે ઉપસ્થિત સભ્યોનો આભાર માન્યો હતો. દેશની જનતાનો આભાર માન્યો હતો અને ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને જે દાયિત્વ સોંપવામાં આવ્યું તે બદલ આભાર માન્યો હતો. આ સાથે જ જ્યારે તેઓ સભ્યોને સંબોધિત કરી રહ્યાં હતા ત્યારે અડવાણીએ કહેલા એક શબ્દને લઇને તેઓ ભાવુક થઇ ગયા હતા, મુશ્કેલીથી તેઓ પોતાના આસુંને રોકી શક્યા હતા અને ગળે ડુમો ભરાતા તેમણે અડવાણીજીને કહ્યું હતું કે તમે આ શબ્દનો પ્રયોગ ના કરો. એક દિકરો ક્યારેય પોતાના માતા પર કૃપા કરતો નથી, ભાજપ મારી માતા છે અને મે તેના પર કૃપા નથી કરી.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું તમારા બધાનો આભારી છું કે તમે બધાએ સર્વસહમતિથી મને એક નવુ દાયિત્વ આપ્યું છે. હું અડવાણી અને રાજનાથ સિંહજીનો આભારી છું, જેમણે મને આશિર્વાદ આપ્યા છે. હું વિચારી રહ્યો હતો કે અટલજીનું સ્વાસ્થ્ય સારું હોત અને તેઓ આજે અહી હોત તો સોનામાં સુગંધ ભળી જાત, તેમના આશિર્વાદ આપણા ઉપર છે અને રહેશે. આ લોકતંત્રનું મંદિર છે અને આપણે બધા લોકતંત્રના આ મંદિરમાં બેસીને પવિત્રતા સાથે પદ માટે નહીં, સવાસો કરોડ દેસવાસીઓની આશા આકાંક્ષાને સમેટીને બેઠાં છીએ. પદભાર મોટી વાત નથી હોતી પરંતુ કાર્યભાર મોટી વાત હોય છે.
આપણે તેને પરીપૂર્ણ કરવા માટે પોતાની જાતને સજ્જ અને સમર્પિત કરવી પડશે. 13 સપ્ટેમ્બરે ભારતીય જનતા પાર્ટીની સંસદીય બોર્ડે મારા માટે એક જવાબદારી નક્કી કરી હતી. 13મી એ નક્કી થયું અને 15 સપ્ટેમ્બરથી મે મારું કામ શરૂ કર્યું. મનમાં એક કાર્યકર્તાના ભાવથી પરિશ્રમ યજ્ઞ શરૂ કર્યું અને 10 મેએ ચૂંટણી પ્રચાર સમાપ્ત થયો, ત્યારે મે અધ્યક્ષને ફોન કર્યો અને દિલ્હી આવીને મળવા માગું છું તેમ કહ્યું. મને જે કામ આપ્યું હતું એ કામને રિપોર્ટ કરવાનો છે, હું તેમની પાસે પહોંચ્યો, એક ડિસિપ્લિન સોલ્જરની જેમ મે મારા અધ્યક્ષને મે રિપોર્ટ આપ્યો, 13 ડિસેમ્બરથી 10 મે સુધી જે કામ સોંપવામાં આવ્યું તે કર્યું છે, પરંતુ એક કાર્યક્રમ મારો નથી થઇ શક્યો.
મે મારા કામ નિષ્ઠાથી કર્યા છે
તેઓ મારી તરફ જોતા રહ્યાં. 9 મેના રોજ આ આખા અભિયાનમાં એક કાર્યક્રમ કેન્સલ કરવો પડ્યો. ગોશિનો જ્યાં જિલ્લા અધ્યક્ષ સુશિલ રાય અકસ્માતે તેમનું મૃત્યુ થઇ ગયું, એક કાર્યકર્તાના નાતે ત્યાં નહીં જઇ શકવાનું દુખ છે. મે મારા કામ નિષ્ઠાથી કર્યા છે. મુખ્યમંત્રી બન્યા બાદ વિધાનસભા ગૃહ અને મુખ્યમંત્રીની ખુરશી જોઇ હતી. આજે પણ એવો જ એક અવસર આવ્યો છે. હું આજે દેશને આઝાદી અપાવનારા, શહિદ થનારાઓને પ્રણામ કરુ છું, જેમના કારણે આજે દેશ લોકશાહીની દિશામાં આગળ વધ્યો છે. હું બંધારણના ઘડવૈયાને પ્રણામ કરું છું, જેના કારણે આપણે સૌથી મોટા લોકતંત્ર બન્યા છીએ અને આ બંધારણના કારણે એક સામાન્ય પરિવારનો દિકરો અહી પહોંચ્યો છે.
દેશની જનતાનો વિજય
આ ચૂંટણીમાં ભાજપનો વિજય, કોઇનો પરાજય બીજી બાજું છે, આ ચૂંટણીમાં ભારતના સામાન્ય નાગરીકની અંદર આત્મવિશ્વાસનો સંચાર થયો છેકે આ એક જ આપણી આશા આકાંક્ષાને પૂર્ણ કરી શકે છે, જે કોઇપણ લોકતંત્રની સૌથી મોટી તાકાત છે. સરકાર એ હોય કે જે ગરીબો માટે વિચારે, સાંભળે, ગરીબો માટે જીવે, તેથી નવી સરકાર દેશના ગરીબોને સમર્પિત છે. દેશના યુવાનો અને માન સમ્માન માટે તરસતી માતા બહેનોને સમર્પિત છે. ગામ, ગરીબ, ખેડૂત, શોસિત હોય, તેમના માટે આ સરકાર છે. તેથી આપણી પ્રાથમિકતા તેમની આકાંશાપૂર્તિ કરવાની હોય છે.
એક દિકરો માતા પર કૃપા ના કરી શકે
મે આ વખતે ભારતના નવા રૂપને જોયો છે. મે એવા લોકો જોયા છે, જેમના શરીર પર વસ્ત્ર હતું પરંતુ ખભામાં ભાજપનો ઝંડો હતો. આ કેટલી આશા સાથે આપણી પાસે આવ્યા છે. તેથી આપણા સ્વપ્ન તેમના સ્વપ્નને સાચા કરવા માટે છે. અડવાણીજીએ એક શબ્દનો પ્રયોગ કર્યો, તેઓ એ શબ્દનો ઉપયોગ ના કરે. નરેન્દ્ર ભાઇએ કૃપા કરી. શું માની સેવા કૃપા હોઇ શકે છે. ક્યારેય નહીં. જે રીતે ભારત મારી માતા છે, તેવી જ રીતે ભાજપ પણ મારી માતા છે. તેથી દિકરો માતા પર કૃપા નથી કરી શકતો સમર્પિત ભાવે સેવા કરી શકે છે. કૃપા તો પાર્ટીએ મારા પર કરી છે કે મને સેવા કરવાની તક આપી.
સારું છે તેને કરવાનો પ્રયાસ કરીએ
હું ક્યારેય એ વિચાર નથી રાખતો કે જૂની સરકારોએ કોઇ કામ કર્યું નથી. દરેક સરકારે પોત પોતાની રીતે કામ કર્યું છે. જેજે કામ થયું છે, તેમાટે બધા જ શુભેચ્છાને પાત્ર છે અને આપણા બધાનું દાયિત્વ છેકે સારું છે તેને આગળ લઇને જે સારું છે તેને કરવાનો પ્રયાસ કરીએ. સામાન્ય માનવીની આશાઓને પૂર્ણ કરવાની છે. તેમણે કહ્યું કે મે પહેલા કહ્યું હતું કે આપણે ચાલીએ કે ના ચાલે પરંતુ દેશ ચાલી પડ્યો છે. હું સ્વભાવથી આશાવાદી છું. સૌનો સાથ સૌનો વિકાસ જરૂરી છે. આપણે બધાનો વિકાસ ઇચ્છીએ છીએ અને એ માટે સૌનો સાથ જરૂરી છે. આજે મને જે દાયિત્વ આપ્યું છે, તેનું રિપોર્ટ કાર્ડ હું 2019માં રજૂ કરીશ, પરિશ્રમની પરાકાષ્ઠા કરીશ.
પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ મને ખભે બેસાડ્યો છે
મોદી આજે જ્યાં છે, અને દેખાઇ રહ્યા છે, તેની પાછળનું કારણ એ નથી કે મોદી મોટા થઇ ગયા છે, પરંતુ મોદી એટલા માટે દેખાઇ રહ્યાં છેકે પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ તેમને ખભા પર બેસાડ્યા છે. આજે જે દિવસ આવ્યો છે તે પાંચ પેઢીઓએ જે તપસ્યા કરી હતી તેના કારણે આવ્યો છું. હુ બધાને નતમસ્તક થઇને પ્રણામ કરું છું.