હવે તમારી પ્રોપર્ટીને પણ આધાર સાથે કરવી પડશે લીંક, સરકાર લાવી રહી છે નિયમ
કેન્દ્રની મોદી સરકાર સંપત્તિની માલિકી અંગે નવો કાયદો લાવવા જઈ રહી છે, જે અંતર્ગત નિયત સંપત્તિના માલિકી માટે તેને આધાર સાથે જોડવું જરૂરી રહેશે.
કેન્દ્રની મોદી સરકાર સંપત્તિની માલિકી અંગે નવો કાયદો લાવવા જઈ રહી છે, જે અંતર્ગત નિયત સંપત્તિના માલિકી માટે તેને આધાર સાથે જોડવું જરૂરી રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે આ કાયદાથી બેનામી સંપત્તિ સાથે વ્યવહાર કરવામાં, જમીનની ખરીદીમાં છેતરપિંડી અટકાવવામાં અને ભ્રષ્ટાચારને રોકવામાં ફાયદો થશે.
એક અહેવાલ મુજબ, તેનો ડ્રાફ્ટ તૈયાર થઇ ગયો છે અને 5 સભ્યોની નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી છે, જે રાજ્યો સાથે સંકલન કરશે. જમીન બાબતો રાજ્યોના અધિકારક્ષેત્ર હેઠળ છે, તેથી કેન્દ્ર મોડલ કાયદો બનાવશે અને રાજ્યોને આપશે. જે બાદ રાજ્યો તેનો અમલ કરશે. એવું માનવામાં આવે છે કે સંસદના શિયાળુ સત્રમાં જ આ બિલ રજૂ કરી શકાય છે.
ડ્રાફ્ટ મુજબ, જે વ્યક્તિ સ્થાવર મિલકત આધાર સાથે જોડશે અને જો સંપત્તિ પર બીજાનો કબ્જો હશે તો તેને મુક્ત કરવાની જવાબદારી સરકારની રહેશે. જો સરકાર માલિકને કબ્જો નહી અપાવી શકે તો વળતર ચૂકવશે. રજિસ્ટ્રાર ઓફિસમાં ખસરા નંબરના આધારે ટાઇટલ (માલિકી) જનરેટ કરવું પડશે અને પછી તેને આધાર સાથે લિંક કરવું પડશે.
મિલકતની ખરીદી અને વેચાણમાં નિર્ધારિત શરતોની સરકાર દ્વારા તપાસ કરવામાં આવશે. આધાર સાથે લિંક કર્યા પછી, મિલકત ઘરે બેઠા બાયમેટ્રિક દ્વારા વેચી શકાશે. નવા કાયદાને કાંતો ઇન્ક્રિમેન્ટલી અમલ કરી શકાય છે, જે અંતર્ગત જમીન વેચતી વખતે અથવા ટ્રાન્સફર કરતી વખતે તેને આધાર સાથે જોડવામાં આવશે. તેનો અમલ જિલ્લાવાર પણ કરી શકાય છે.