પણજી, 12 એપ્રિલ: ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરે જણાવ્યું કે રાજ્યમાં લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી જ એક માત્ર મુદ્દો નથી. પર્રિકરે ઉત્તર ગોવા બેઠક માટે મૈસન ડી અમોરિમ મતદાન કેન્દ્ર પર મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ પત્રકારોને જણાવ્યું કે રાજ્યમાં તેમના બે વર્ષના શાસનને પણ લોકો સમજશે.
ગોવાની બે લોકસભા બેઠકો માટે મતદાન જારી છે. પર્રિકરે જણાવ્યું કે સરકારના બે વર્ષના કાર્યને પણ સમજવામાં આવશે. ભાજપે રાજ્યમાં મોદીની લહેર પર વધારે ધ્યાન કેન્દ્રીત નથી કર્યું.
ભાજપે ગોવામાં રાજ્ય સરકારના સુશાસનને મુખ્ય મુદ્દો બનાવ્યો છે. શું તેઓ ગોવામાં સરકાર વિરોધી લહેર જુવે છે, પર્રિકરે જણાવ્યું કે હું સરકાર સમર્થક લહેર મહેસૂસ કરું છું. જોકે પર્રિકરના આ નિવેદનને પગલે બની શકે છે વિપક્ષને મોદી પર ફરી પ્રહાર કરવાની તક મળી જાય.
ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી ઠોકવગાડીને કહેતી આવી છે કે દેશભરમાં અત્યારે મોદીની લહેર છે, અને તે છે એમાં કોઇ શંકાને સ્થાન નથી. પરંતુ વિપક્ષ હંમેશા એવું કહેતું રહ્યું છે કે દેશમાં મોદીની લહેર ક્યાંય દેખાતી નથી.