નરેન્દ્ર મોદી ચિત્તૂરના ઉગ્રવાદીઓના પણ હિટલિસ્ટમાં
હૈદરાબાદ, 7 ઓક્ટોબર : ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા જે ઝડપથી વધી રહી છે તેવી જ ઝડપથી તેમના પર જોખમ અને તેમના વિરોધીઓની સંખ્યા પણ વધી રહી છે. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે તેઓ લશ્કર એ તૈયબાના હિટલિસ્ટમાં છે. જેના પગલે તેમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. આજે પ્રાપ્ત નવા અહેવાલ અનુસાર નરેન્દ્ર મોદી એક અન્ય ઉગ્રવાદી સંગઠનના હિટલિસ્ટમાં પણ છે.
આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં પકડાયેલા આતંકવાદીઓએ આ ખુલાસો કરીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. ચિત્તૂર એન્કાઉન્ટરમાં પકડાયેલા શંકાસ્પદ આતંકવાદીઓની પૂછપરછમાં આ ખુલાસો થયો છે. તેમણે જણાવ્યું છે કે તેમના હિટલિસ્ટમાં નરેન્દ્ર મોદી છે. આ ઉપરાંત ભાજપના અનેક નેતાઓ પણ તેમના નિશાના પર છે. તેમની યોજના તિરુપતિ મંદિરમાં યોજાનારા બ્રહ્મોત્સવમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની હતી.

પોલીસની પૂછપરછમાં એવી વિગતો પણ બહાર આવી છે કે આતંકવાદીઓ 18 ઓક્ટોબરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થનારા એક પુસ્તકના વિમોચનના કાર્યક્ર્મમાં તેમની પર હુમલો કરી શકે છે.
આ અહેવાલોને પગલે નરેન્દ્ર મોદીની સુરક્ષા વધારે કડક બનાવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ચિત્તૂરમાં 12 કલાક ચાલેલી અથડામણ બાદ પોલીસે બે શંકાસ્પદોની ધરપકડ કરી હતી. આ બંને 2011માં ભાજપના નેતા અડવાણીની જનચેતના યાત્રાના રૂટમાં બોમ્બ રાખવા અને તમિલનાડુમાં ભાજપ અને સંઘ પરિવારના નેતાઓની હત્યાના આરોપમાં મોસ્ટ વોન્ટેડ હતા.












Click it and Unblock the Notifications
