નરેન્દ્ર મોદીને સાંભળવા દેશભરમાંથી 50000 મહિલાઓ દિલ્હીમાં ઉમટશે
નવી દિલ્હી, 23 જુલાઇ : ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ ચૂંટણી સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને તેમની બોલવાની છટાની એક ઝલક મેળવવા માટે લોકો હંમેશા તત્પર રહે છે. આ ચાહકોમાં મહિલાઓનો મોટો વર્ગ પણ સામેલ છે. આ કારણે જ નરેન્દ્ર મોદી દિલ્હીમાં મહિલાઓને ખાસ સંબોધિત કરવાના છે ત્યારે માત્ર દિલ્હી નહીં પણ દેશભરમાંથી મહિલાઓએ તેમને જીવંત સાંભળવા માટે દિલ્હી એકત્ર થવાનું મન બનાવ્યું છે. એક અંદાજ મુજબ મોદીના સંબોધનને સાંભળવા માટે દિલ્હીમાં અંદાજે 50,000 મહિલાઓ દેશભરમાંથી ઉમટશે.
નરેન્દ્ર મોદી આગામી 29મી જુલાઇના રોજ દિલ્હીના ટાલકટોરા સ્ટેડિયમમાં ભાજપના મહિલા કાર્યકરોને સંબોધન કરવાના છે. આ સંમેલનમાં ગુજરાતમાંથી અંદાજે 1000 મહિલાઓ ભાગ લેવાની છે. આ અંગે ભાજપના સુત્રોના જણાવ્યા પ્રમાણે પક્ષની મહિલા કાર્યકરોનું આ સૌ પહેલુ સંમેલન હશે. આ સંમેલનમાં ચર્ચાનું કેન્દ્રબિંદુ લોકસભા ચૂંટણી 2014 રહેશે. આ સંમેલનમાં મોદી મહિલાઓના વિકાસ અને તેઓને 33 ટકા અનામતની વાત જણાવશે.
મોદી ભાજપની મહિલા કાર્યકરોને જિલ્લા અને બ્લોક લેવલે કઇ રીતે કામ કરવું અને કઇ રીતે મતદારો સુધી પહોંચવુ તે અંગેનું પણ માર્ગદર્શન આપશે. ભાજપના ચૂંટણી સમિતિના ચેરમેન બન્યા બાદ મોદીએ મહિનામાં 3 થી 4 વખત દિલ્હી જવાનું નક્કી કર્યુ છે. તેઓ ઓગષ્ટથી દેશવ્યાપી પ્રચાર અભિયાન પણ શરૂ કરવાના છે ત્યારે સમાજના દરેક વર્ગને મળવાનું તેઓ મહત્વનું માની રહ્યા છે.
મોદીનું સૌ પ્રથમ કાર્ય મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને દિલ્હી ઉપર છે કારણ કે ત્યાં ચાલુ વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની છે તેઓ યુપી અને બિહાર ઉપર પણ ધ્યાન કેન્દ્રીત કરશે. આ બંને રાજયોમાં ભાજપ પોતાની સંખ્યા વધારી શકે તેમ છે. મોદી પ્રચાર દરમિયાન થ્રીજી ટેકનોલોજી અને સોથિયલ મીડિયાનો પણ ઉપયોગ કરશે.