નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર સાથે પ્રેમનો સંદેશો પાઠવશે
ગાંધીનગર, 23 ઓગ્સટ : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી લોકસભા ચૂંટણી 2014ને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલા 'મિશન-272'ને પૂર્ણ કરવા માટે કમર કસી છે. તેમણે ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો છે. જો કે તેઓ માત્ર ચૂંટણી પ્રચાર કરવાને બદલે દેશમાં શાંતિ સ્થપાય તે માટે પ્રેમનો સંદેશો પણ પાઠવવાના છે.
લોકસભામાં મહત્તમ બેઠકો મેળવવા માટે ભાજપની આશાઓ તેમના જૂના ટેકો ધરાવતા વિસ્તાર ઉત્તર પ્રદેશ ઉપર મંડાઈ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે હિંદુવાદી એજન્ડાની સાથે સાથે મોદીને એક ઉદારવાદી ચહેરાના સ્વરૂપમાં રજૂ કરવા માટે તેમના રણનીતિજ્ઞોને 'મિશન આગ્રાથી અયોધ્યા'નો 'રોડ મેપ'બનાવવા સૂચના આપી હતી. આ રોડમેપ તૈયાર થઇ ગયો છે.
વર્ષ 2014માં યોજાનાર લોકસભાની ચૂંટણી માટે નરેન્દ્ર મોદીની ચૂંટણી રણનીતિમાં અયોધ્યા રામમંદિરનો મુદ્દો તો છે જ, પરંતુ કાશી, મથુરાના સ્થાને તેમણે આગ્રાનો પોતાના એજન્ડામાં સમાવેશ કર્યો છે. જેમાં હિંદુ ધર્મના પ્રતીક અયોધ્યાના રામ અને પ્રેમ તેમજ સદભાવનાના પ્રતીક એવા તાજમહાલનો સંગમ કર્યો છે.
'મિશન 272'ને પૂરું કરવા માટે ભાજપ આ દિવસોમાં મોદીના 'રોડ મેપ' ઉપર અમલ કરી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. વિશ્વ હિંદુ પરિષદના નેતૃત્વમાં સમગ્ર સંઘ પરિવાર અયોધ્યામાં 84 કોસની પરિક્રમા દ્વારા રામમંદિરના મુદ્દાને ગરમ કરી રહ્યું છે. જ્યારે નરેન્દ્ર મોદી તેનાથી બિલકુલ વિરુદ્ધ તેમના યુપી મિશનને સમગ્ર દેશમાં પ્રેમ અને સદભાવનાના પ્રતીક મનાતા સુપ્રસિદ્ધ તાજમહાલની નગરી આગ્રાથી શરૂ કરશે.
આગામી ઓકટોબર માસના બીજા સપ્તાહ સુધીમાં નરેન્દ્ર મોદી તાજમહાલની મુલાકાત લઈને પ્રદેશને સદભાવ અને ખુશાલીનો સંદેશો આપશે. જોકે હાલમાં તેમના રણનીતિજ્ઞો આગ્રાના આયોજનને સફળ બનાવવામાં વ્યસ્ત બન્યા છે.