નરેન્દ્ર મોદીએ ફૂડ બિલ મુદ્દે લખ્યો PMને પત્ર; CMsની બેઠક બોલાવવા આગ્રહ
નવી દિલ્હી, 13 ઓગસ્ટ : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન મનમોહન સિંહને પત્ર લખીને ખાદ્ય સુરક્ષા બિલ મુદ્દે મુખ્યમંત્રીઓની બેઠક બોલાવવાનો આગ્રહ કર્યો છે. નરેન્દ્ર મોદીએ પત્રમાં જણાવ્યું છે કે આ એક એવો મુદ્દે છે જેનાથી કેન્દ્ર અને રાજ્ય સરકારો બંનેને સંબંધ છે.
મોદીએ પોતાના પત્રમાં આરોપ લગાવ્યો છે કે ગરીબ પરિવારોને પરિપત્ર જાહેર કરીને 'ખાદ્ય આરક્ષિત' બનાવી દેવામાં આવ્યા છે. જે ખાદ્ય સુરક્ષાના મૂળ ઉદ્દેશ્યોની પૂર્તિ કરતો નથી. નરેન્દ્ર મોદીએ આ પત્ર 7 ઓગસ્ટના રોજ લખ્યો હતો.
આ પત્રમાં તેમણે આરોપ લગાવ્યો છે કે પરિપત્ર અંતર્ગત 'અવ્યવહારુ કાયદાકીય જવાબદારીઓ કેન્દ્ર અને રાજ્ય સરકારો બંનેને આપવામાં આવી છે. આ સાથે લાભાર્થીઓની સંખ્યા, પાત્રતાના માપદંડ અને વ્યક્તિગત અધિકાર નક્કી કર્યા વિના નક્કી કરી દેવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં વિવિધ રાજ્યો વચ્ચે વ્યાપક ક્ષેત્રિય અસમાનતા હોઇ શકે છે તેને ધ્યાનમાં લેવામાં આવી નથી.'
મોદીના કહેવા અનુસાર સંસદની સ્થાયી સમિતીએ જાન્યુઆરી 2013માં ભલામણ કરી હતી કે સરકારને રાજ્ય સરકાર પાસેથી ચર્ચા અને સલાહ કરી પાત્રતા નક્કી કરવી જોઇએ. તેમણે જણાવ્યું કે પરિપત્રમાં ગરીબી રેખા નીચે રહેનારા પરિવારોનો હક 35 કિલોગ્રામ પ્રતિ પરિવારથી ઘટીને સરેરાશ પાંચ વ્યક્તિના પરિવારને 25 કિલોગ્રામ અનાજ આપવાની દરખાસ્ત રજૂ કરી હતી.
મોદીએ જણાવ્યું કે 'ખાદ્ય સુરક્ષા બિલનો ઉદ્દેશ આ હોઇ ના શકે. આ કારણે જે હકપાત્ર છે અને ગરીબી રેખા નીચે જીવે છે તેમનો હક ઘટે છે. બીજી તરફ આયોજન પંચ એવો દાવો કરી રહ્યું છે કે બીપીએલ પરિવારોની સંખ્યામાં ઘટાડો થયો છે. પરંતુ પરિપત્રમાં દેશની કુલ જનતાના બે તૃતીયાંશ લોકોને ખાજ્ય સહાય આપવાની વાત છે. આ મુદ્દે પર ચર્ચા થવી જોઇએ.'