ઢીલા પડ્યા સિદ્ધુના તેવર! સલાહકારે આપ્યુ નિવેદન - 'જલ્દી ઉકેલાશે મામલો, સિદ્ધુ બની રહેશે પ્રદેશ અધ્યક્ષ'
પંજાબમાં નવજોત સિંહ સિદ્ધુના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યા બાદ રાજકીય હલચલ વચ્ચે તેમના સલાહકારે એક મોટુ નિવેદન આપ્યુ છે.
ચંદીગઢઃ પંજાબમાં નવજોત સિંહ સિદ્ધુના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યા બાદ રાજકીય હલચલ વચ્ચે તેમના સલાહકારે એક મોટુ નિવેદન આપ્યુ છે. નવજોત સિંહ સિદ્ધુના સલાહકાર મોહમ્મદ મુસ્તફાએ કહ્યુ છે કે સિદ્ધુ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદ પર બની રહેશે અને જે પણ વિવાદ છે તેને બહુ જ જલ્દી ઉકેલી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નવજોત સિંહ સિદ્ધુએ મંગળવારે અચાનક પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ. સિદ્ધુના રાજીનામા બાદ પંજાબ કોંગ્રેસમાં હોબાળો મચી ગયો અને રાજ્ય સરકારમાં મંત્રી રઝિયા સુલતાના સહિત કોંગ્રેસ સંગઠનના ચાર મોટા નેતાઓએ પોતાના રાજીનામા પાર્ટી હાઈ કમાન્ડને મોકલી દીધા.
એનડીટીવીના સમાચાર મુજબ નવજોત સિંહ સિદ્ધુના સલાહકાર મુસ્તફાએ ગુરુવારે પંજાબના ઘટનાક્રમ પર એક મોટુ નિવેદન આપીને કહ્યુ, 'સિદ્ધુ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદે બની રહેશે અને આવનારી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીનુ નેતૃત્વ કરશે. જે પણ મુદ્દો છે તેને બહુ જલ્દી ઉકેલી લેવામાં આવશે. કોંગ્રેસ નેતૃત્વ નવજોત સિદ્ધુને સમજે છે અને સિદ્ધુ કોંગ્રેસ હાઈકમાન્ડથી આગળ નથી. તે અમરિંદર સિંહ નથી જેમણે ક્યારેય કોંગ્રેસ અને તેના નેતૃત્વની પરવા નથી કરી.'
રાજીનામુ પાછુ લઈ શકે છે નવજોત સિંહ સિદ્ધુ
સલાહકારના આ નિવેદન બાદ અટકળો લગાવવામાં આવી રહી છે કે નવજોત સિંહ સિદ્ધુના તેવર કંઈક ઢીલા પડ્યા છે અને તે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી આપેલા પોતાના રાજીનામાને પાછુ લઈ શકે છે. તમને જણાવી દઈએ કે મંગળવારે સિદ્ધુના રાજીનામા બાદ બદલાયેલા ઘટનાક્રમમાં કોંગ્રેસ હાઈકમાન્ડે એ વાતના સંકેત આપ્યા હતા કે તે હવે સિદ્ધુના મનામણા નહિ કરે. આ સાથે જ કોંગ્રેસ નેતૃત્વએ નવા પ્રદેશ અધ્યક્ષની શોધ પણ ચાલુ કરી દીધી. પહેલા જણાવવામાં આવ્યુ કે સિદ્ધુને મનાવવા માટે પંજાબના પ્રભારી મહાસચિવ હરીશ રાવત ચંદીગઢ પહોંચી રહ્યા છે પરંતુ બાદમાં તેમના પ્રવાસને રદ કરી દેવામાં આવ્યો.