એનસીપીએ અજીત પવારનું રાજીનામું સ્વીકાર્યું
શુક્રવારે બપોર બાદ કેન્દ્રીયમંત્રી પ્રફુલ્લ પટેલના વરલી સ્થિત નિવાસ્થાને એનસીપી પ્રમુખ શરદ પવાર અને અજીત પવાર વચ્ચે બેઠક યોજાઇ હતી. શરદ પવાર અને અજીત પવારની બેઠક બાદ શરદ પવારે એનસીપીના અગ્રણી નેતાઓ અને મંત્રીઓ સાથે પણ બેઠક યોજી હતી અને અંતિમ નિર્ણય સ્વરૂપ અજીત પવારના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો.
આ અંગે શરદ પવારે જણાવ્યું કે 'એનસીપીના તમામ અગ્રણી નેતાઓ વચ્ચેની બેઠકમાં ચર્ચા થઇ કે જે બાબતો પર મુખ્ય મંત્રીએ આરોપો લગાવ્યા છે તેને ધ્યાનમાં રાખીને રાજીનામુ સ્વીકારવું જોઇએ. સિંચાઇ વિભાગમાં જે કૌભાંડો થયા તેની હકીકતો બહાર આવે તે માટે રાજીનામુ સ્વીકારવામાં આવ્યું છે. કહેવાતા સિંચાઇ કૌભાંડની હકીકતો શ્વેત પત્ર દ્વારા લોકો સમક્ષ લાવવામાં આવશે. સિંચાઇ કૌભાંડ સાથે સંકળાયેલી તમામ બાબતોની સ્પષ્ટતા તેમાં કરવામાં આવશે અને તેને લોકોની સામે મૂકવી જોઇએ.'
શરદ પવારે વધુમાં જણાવ્યું કે 'અજીત પવારે અમને જણાવ્યું કે જ્યાં સુધી તમામ સચ્ચાઇ લોકો સમક્ષ આવશે નહીં ત્યાં સુધી હું સરકારમાં કોઇ જવાબદારી સંભાળીશ નહીં. આથી તેમના સિવાયના તમામ મંત્રીઓ આવતીકાલથી પોતાની જવાબદારી સંભાળશે એવો નિર્ણય પાર્ટીએ લીધો છે.'
ઉલ્લેખનીય છે કે સિંચાઈ વિભાગમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના મીડિયા અહેવાલ બાદ ગત મંગળવાર, 25 સપ્ટેમ્બર, 2012ના રોજ અજીત પવારે મહારાષ્ટ્રના ઉપમુખ્ય મંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું.