Delhi Liquor Policy: દિલ્લી સરકાર ટૂંક સમયમાં લાવશે નવી આબકારી નીતિ, થઈ શકે છે આ ફેરફારો
દિલ્લી સરકાર બહુ જલ્દી તેની આબકારી નીતિમાં ફેરફાર કરવા જઈ રહી છે. અહીં જાણો તેમાં શું બદલાવ આવશે.
Delhi Liquor Policy: દિલ્લી સરકાર નવી દારુ નીતિ બનાવવા જઈ રહી છે. જેમાં ઘણા મોટા ફેરફારો કરવાની તેની યોજના છે. દિલ્લીની નવી આબકારી નીતિમાં દારુ પીવાની કાયદાકીય ઉંમર 25થી ઘટાડીને 21 વર્ષ કરવાની યોજના છે. વળી, દિલ્લી સરકાર બધા ખાનગી દારુ વિક્રેતાઓ અને સરકારી દારુ વિક્રેતાઓને મોડી રાત સુધી દારુ વેચવાની મંજૂરી આપી શકે છે.
જૂની આબકારી નીતિ આવી હતી વિવાદોમાં
રિપોર્ટ મુજબ નવી એક્સાઈઝ પૉલિસી 31 માર્ચ સુધીમાં લાગુ થઈ શકે છે. નોંધનીય છે કે દિલ્લી સરકાર ગયા વર્ષે નવી એક્સાઇઝ પોલિસી લાવી હતી, જેના કારણે ઘણો વિવાદ થયો હતો. નવી એક્સાઇઝ પૉલિસીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થયા હતા. જે બાદ આ એક્સાઇઝ પૉલિસી પાછી ખેંચી લેવામાં આવી હતી. હાલ આ એક્સાઈઝ પૉલિસીની સીબીઆઈ તપાસ ચાલી રહી છે. નવી આબકારી નીતિ 2021-22 વિવાદોમાં ઘેરાયા બાદ સરકારે તેને નાબૂદ કરી દીધી હતી અને હવે સરકાર નવી નીતિ લાવવા જઈ રહી છે. હાલમાં જૂની એક્સાઇઝ પૉલિસી પુનઃસ્થાપિત કરવામાં આવી છે.
નવી નીતિમાં મુખ્યત્વે ગ્રાહકોના અનુભવોનુ રખાશે ધ્યાન
દિલ્લી સરકાર જે નવી દારૂ નીતિ લાવવા જઈ રહી છે તે મુખ્યત્વે ગ્રાહકોના અનુભવને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે તેવુ માનવામાં આવી રહ્યુ છે. નવો ડ્રાફ્ટ ગ્રાહકોના અનુભવને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જ્યારે સરકારની આવકમાં પણ વધારો કરશે. દિલ્લીના દારૂના ધંધાને નજીકના શહેરોમાં જવાથી કેવી રીતે રોકી શકાય તે ધ્યાનમાં રાખવામાં આવશે. દીલ્લીમાં મોંઘા દારૂના કારણે લોકો નજીકના જિલ્લાઓમાં દારૂ પીવા જાય છે. લોકો સસ્તા દારૂ માટે ગુરુગ્રામ અને નોઈડા તરફ વળે છે.
સીએમ કેજરીવાલ રજૂ કરશે નવો ડ્રાફ્ટ
દિલ્લીની નવી પૉલિસીમાં દિલ્લીમાં ડ્રાય ડેમાં ઘટાડો થઈ શકે છે. જો કે દારૂ પર ભારે ડિસ્કાઉન્ટની અપેક્ષા રાખનારાઓ નિરાશ થઈ શકે છે. પહેલા એકની ઉપર એક ફ્રી લિકરની નીતિ લાવવામાં આવી હતી પરંતુ બાદમાં સરકારે તેને પાછી ખેંચી લીધી હતી. દારૂની હોમ ડિલિવરીની સુવિધા પણ શરૂ કરવામાં આવશે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો અરવિંદ કેજરીવાલ ટૂંક સમયમાં કેબિનેટ સમક્ષ નવો ડ્રાફ્ટ રજૂ કરી શકે છે. કેબિનેટની મંજૂરી બાદ તેને 1 એપ્રિલથી લાગુ કરી શકાશે.