ગુજરાતનાં ચાર મહાનગરોમાં હવે રાતના 11થી સવારના 6 સુધી નાઇટ કર્ફ્યૂ
ગુજરાતનાં ચાર મહાનગરોમાં હવે રાતના 11થી સવારના 6 સુધી નાઇટ કર્ફ્યૂ
ઇન્ડિયા ટુડેના એક અહેવાલ પ્રમાણે ગુજરાતનાં ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં હવે 15 ફેબ્રુઆરી સુધી રાત્રિના 11 વાગ્યાથી માંડીને સવારના છ વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ અમલમાં રહેશે.
શનિવારે રાજ્ય સરકાર દ્વારા આ બાબત જાહેરાત કરવામાં આવી હતી. નોંધનીય છે કે અગાઉ આ ચારેય મહાનગરોમાં રાત્રિના 10 વાગ્યાથી માંડીને છ વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ અમલમાં રહેતો હતો.
કોરોના વાઇરસના પ્રસારને રોકવાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા નાઇટ કર્ફ્યૂનું પગલું લેવાયું હતું. જેમાં હવે છૂટછાટો અપાવાનું શરૂ થયું છે.
અહેવાલ પ્રમાણે આ જાહેરાત કરતી વખતે ગુજરાતના ચીફ સેક્રેટરી (હોમ), પંકજ કુમારે કહ્યું હતું, “રાજ્યમાં કોરોના વાઇરસનો રિકવરી રેટ 96.94 ટકા થઈ ગયો છે. પરંતુ હજુ સાવધાન રહેવાની જરૂર છે. કોરોનાના પ્રસારને બિલકુલ અટકાવી દેવા માટે નિયત ધારાધોરણોનું પાલન થાય એ આવશ્યક છે.”
આ સિવાય રાજ્ય સરકાર દ્વારા લગ્નપ્રસંગે મહેમાનોની મર્યાદામાં પણ વધારો કર્યો છે. અગાઉ લગ્નમાં 100 લોકો હાજર રહી શકતા હતા જ્યારે તાજેતરની જાહેરાતમાં લગ્નપ્રસંગે 200 લોકોને મંજૂરી આપવામાં આવી છે.
ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લાદતો ખરડો બજેટ સત્રમાં રજૂ થશે
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ભારત સરકાર ચાલુ બજેટ સત્ર દરમિયાન પોતાની ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરવા માટે ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લાદવા માટે બિલ લાવવાની તૈયારીમાં છે.
શુક્રવારે પ્રસિદ્ધ થયેલા લોકસભા બુલેટિન અનુસાર આ બિલનો હેતુ ભારતમાં તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સી બૅન કરવાનો છે.
નોંધનીય છે કે વર્ષ 2018માં તે સમયના નાણામંત્રી અરૂણ જેટલીએ બિટકોઇન અને અન્ય વર્ચ્યુઅલ કરન્સીનો ઉપયોગ બંધ થાય તે હેતુ માટેનો સરકારનો નિર્ધાર સ્પષ્ટ કર્યો હતો.
RBIએ પણ ક્રિપ્ટોકરન્સીના તમામ ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ મૂકી દીધો હતો. પરતું તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા લોકોને વર્ય્યુઅલ કરન્સી ખરીદવાની અને વેચવાની પરવાનગી આપી દેવાઈ હતી. ઘણા લોકો આ પરિસ્થિતિને નિયમનકારી અવકાશની જેમ જોઈ રહ્યા હતા.
નોંધનીય છે કે ક્રિપ્ટોકરન્સીનો નાણાની ગેરકાયદેસર લેવડદેવડ માટે ઉપયોગ થતો હોવાનો ભય છે. કારણ કે ક્રિપ્ટોકરન્સીની સર્વિસ પૂરી પાડતી સંસ્થાઓ દ્વારા KYCના નિયમોનું પાલન થતું નહોતું. જોકે, હાલના દિવસોમાં ઘણી સંસ્થાઓએ તે અંગે પગલાં ભર્યાં છે.
રાજ્યમાં 1 ફેબ્રુઆરીથી ધો. નવથી 11ની શાળા શરૂ
NDTVના એક અહેવાલ પ્રમાણે 1 ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ નવથી 11ની શાળાઓ ફરીથી ખોલવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. અહેવાલ પ્રમાણે રાજ્ય સરકારની સૂચના અનુસાર આ પગલું ભરવામાં આવી રહ્યું છે.
અહેવાલ અનુસાર અમદાવાદની એક શાળાનાં એડમિનિસ્ટ્રેટિવ ઑફિસર સૃષ્ટિ પટેલે કહ્યું હતું, “અમે દરેક ક્લાસરૂમમાં 15 વિદ્યાર્થીઓને બેસાડીશું અને એક અઠવાડિયામાં ત્રણ વખત વર્ગ આયોજિત કરીશું.”
તેમણે કહ્યું કે ધો. નવ અને ધો. 11 અને ધો. 10 અને ધો. 12ના ક્લાસ અલગ અલગ દિવસે આયોજિત કરાશે.
તેમણે આગળ વાત કરતાં કહ્યું, “અમે આ બાબતે વાલીઓની મંજૂરી પણ મેળવી લીધી છે. તેઓ પણ શાળા ફરી શરૂ થવાના નિર્ણયથી ઘણા ખુશ છે.”
નોંધનીય છે કે અગાઉ 11 જાન્યુઆરીથી રાજ્યમાં ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોનાને કારણે દસ મહિનાથી બંધ શાળાઓમાં આ નિર્ણય બાદ રાબેતા મુજબ શિક્ષણકાર્ય હાથ ધરાયું હતું.
કૅનેડાના ખાલિસ્તાન સમર્થક સાંસદે ખેડૂતો વિરુદ્ધ હિંસા બાબતે ચિંતા વ્યક્ત કરી
ટાઇમ્સ નાઉના એક અહેવાલ પ્રમાણે પાકિસ્તાન અને ખાલિસ્તાનના સમર્થક કૅનેડાના સાંસદ જગમીત સિંઘે ફરી એક વાર ભારતની આંતરિક બાબતો અંગે ટિપ્પણી કરી વિવાદ સર્જ્યો છે.
તેમણે દિલ્હીમાં ખેડૂતો વિરુદ્ધ થયેલી હિંસાને કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા તાત્કાલિક અસરથી વખોડવામાં આવે તેવી માંગણી કરી છે.
તેમણે ટ્વિટર પર એક વીડિયો મૅસેજ દ્વારા હાલમાં ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને વિશ્વના સૌથી મોટાં આંદોલનો પૈકી એક ગણાવ્યો હતો.
તેમણે આ મૅસેજમાં વૈશ્વિક નેતાઓને આ શાંતિપૂર્ણ આંદોલન સામે ભારતની હિંસક પ્રતિક્રિયાને વખોડવા આગળ આવવા માટે અપીલ કરી છે.
https://twitter.com/theJagmeetSingh/status/1355288314522300421
તેમણે આગળ કહ્યું હતું, “સમગ્ર ભારતના ખેડૂતો ઇતિહાસનાં સૌથી મોટાં આંદોલન પૈકી એક આંદોલનમાં સામેલ થયા છે. તેઓ કૃષિના ખાનગીકરણનો વિરોધ કરી રહ્યા છે. પોતાના હકોના રક્ષણ અને શાંતિપૂર્ણ પ્રદર્શનની સાથે આ ખેડૂતો સમાજસેવા પણ કરી રહ્યા છે. તેઓ જરૂરિયાતમંદો માટે મફત ભોજન, મફત શિક્ષણ અને અન્ય સેવાઓ પૂરી પાડી રહ્યા છે.”
ફ્રાન્સમાં ફરીથી લૉકડાઉન
સમગ્ર દેશમાં રવિવારથી ફ્રાન્સે નવું કોવિડ-19 લૉકડાઉન લાગુ કરી દીધું છે.
જે બાદ યુરોપિયન યુનિયન બહારની યાત્રા પર પ્રતિબંધ લાદી દેવાયો છે, જ્યારે યુરોપિયન યુનિયનની અંદરથી યાત્રીઓ માટે ટેસ્ટિંગના નિયમ વધુ કડક બનાવી દેવાયા છે.
ફ્રાન્સના વડા પ્રધાન જેન કેસ્ટેક્સે કહ્યું કે ફ્રાન્સમાં રાત્રિના કર્ફ્યૂને વધુ કડકપણ લાગુ કરવામાં આવશે અને મોટાં શૉપિંગ સેન્ટર બંધ રહશે.
નવા સીમા પ્રતિબંધ બ્રિટનને પ્રભાવિત કરશે, જે હવે યુરોપિયન યુનિયનનો ભાગ નથી. જોકે, ફ્રાન્સના પરિવહનમંત્રીએ ટ્વિટર પર સ્પષ્ટ કર્યું કે બ્રિટનથી થતા ઇમ્પોર્ટ-એક્સપોર્ટ પર કોઈ અસર નહીં પડે કારણ કે હૉલર (માલનું એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન) પ્રભાવિત નહીં કરવામાં આવે.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=61YUhBsXX5E
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો