નિર્ભયાના દોષી આ કામ કરીને ફાંસી પહેલા ઉદાહરણરૂપ બની શકે છે, NGOએ કોર્ટ પાસે માંગી અનુમતિ
એક એનજીઓ તરફથી આ ચારે દોષીતોને અંગદાન કરવા માટે રાજી કરવાના હેતુથી અરજી દાખલ કરવામાં આવી છે.
વર્ષ 2012માં નિર્ભયા ગેંગરેપ કેસમાં દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટે ગયા મંગળવારે ચારે દોષિતોનુ ડેથ વોરન્ટ જારી કરી દીધુ. આ ચારે દોષીતો અક્ષય, મુકેશ, વિનય અને પવનને 22 જાન્યુઆરીની સવારે 7 વાગે ફાંસી પર લટકાવી દેવામાં આવશે. હવે એક એનજીઓ તરફથી આ ચારે દોષીતોને અંગદાન કરવા માટે રાજી કરવાના હેતુથી અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં અરજીકર્તાએ ફાંસીની સજા મેળવેલ ચારે દોષિતો સાથે મુલાકાત કરવાની અનુમતિ માંગી છે જેથી તેમને અંગદાન માટે સંમત કરવામાં આવી શકે. RACO(રોડ એન્ડ કરપ્શન ઑર્ગેનાઈઝેશન) નામની સંસ્થાએ પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી કરીને દોષિતો સાથે મુલાકાતની મંજૂરી માંગી છે.
કોર્ટ આ અરજીની સુનાવણી માટે તૈયાર છે. એડવોકેટ આર કપૂરે કહ્યુ, 'એનજીઓ રાકો તરફથી મે દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટમાં નિર્ભયાના દોષિતોને મળવા માટે અરજી દાખલ કરી છે જેથી તેમને અંગદાન માટે મોટિવેટ કરી શકાય. 19 ડિસેમ્બરે અમે જેલના પ્રશાસન સાથે વાતચીત કરી હતી તો તેમણે અમને કોર્ટનો ઑર્ડર લાવવા માટે કહ્યુ હતુ.' સંસ્થાએ પોતાની અરજીમાં એ પણ કહ્યુ છે કે નિર્ભયાના દોષિતોને મળવા માટે તેમણે એક પેનલ પણ તૈયાર કરી છે. જેમાં વકીલ, સામાજિક કાર્યકર્તા, ડૉક્ટર અને મનોચિકિત્સક શામેલ હશે. જે દોષિતોને મળીને તેમને અંગદાન કરવા માટે પ્રોત્સાહિત કરશે. આનાથી લોકોની જિંદગી બચાવવા માટે તેમના અંગોનો ઉપયોગ થઈ શકશે અને ચારે દોષિતો શાંતિથી મરી શકશે કે તે સમાજ માટે કંઈક સારુ કામ કરીને જઈ રહ્યા છે.
અરજીમાં કહેવામાં આવ્યુ છે કે અમારી હિંદુ પરંપરામાં દધીચિએ જે રીતે પોતાનુ આખુ શરીર દાન કર્યુ અને સમાજ માટે એ શરીરનો ઉપયોગ થયો તે જ રીતે અંગદાનને પ્રોત્સાહન આપવા માટે જો આ ચારે દોષિતો તૈયાર થાય તો આ તેમના પરિવાર માટે પણ સામાજિક રીતે રાહત આપનાર પગલુ હશે. વાસ્તવમાં નિર્ભયા કેસમાં આ ચારે દોષિતોના કૃત્યના કારણે તેમના પરિવારને પણ સામાજિક ઉપેક્ષા અને શરમનો સામનો કરવો પડી રહ્યો છે. અંગદાન આને ઘટાડવામાં મદદગાર સાબિત થઈ શકે છે.
આ પણ વાંચોઃ ચાબહાર બંદર પર વિશેષ છૂટ માટે ભારતે અમેરિકાની કરી પ્રશંસા