બિહારમાં ફરી મહાગઠબંધ સરકાર, નીતીશ કુમારે મુખ્યમંત્રી અને તેજસ્વી યાદવે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા!
નીતિશ કુમારે આઠમી વખત બિહારના સીએમ તરીકે શપથ લીધા છે. નીતિશ સાથે તેજસ્વી યાદવે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ પ્રસંગે રાબડી દેવી અને જીતન રામ માંઝી સહિત બિહારના ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા.
પટના : નીતિશ કુમારે આઠમી વખત બિહારના સીએમ તરીકે શપથ લીધા છે. નીતિશ સાથે તેજસ્વી યાદવે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ પ્રસંગે રાબડી દેવી અને જીતન રામ માંઝી સહિત બિહારના ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા. ભાજપથી અલગ થયા પછી નીતિશ કુમારે સાત પક્ષોના મહાગઠબંધન સાથે જવાનો નિર્ણય કર્યો હતો, જેમાં તેજસ્વી યાદવની આરજેડી અને અન્ય વિપક્ષી પાર્ટીઓ સામેલ છે.
નીતિશ કુમાર મંગળવારે રાજ્યપાલ ફાગુ ચૌહાણને મળ્યા હતા અને રાજ્યમાં આઠમી વખત સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. નીતીશ કુમાર મંગળવારે બે વખત રાજ્યપાલને મળ્યા હતા. પ્રથમ વખત તેમણે એનડીએ ગઠબંધનનું નેતૃત્વ કરતી સરકારના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યુ, જ્યારે બીજી વખત મહાગઠબંધનના અન્ય સહયોગીઓ સાથે 64 ધારાસભ્યોના સમર્થનની યાદી સુપરત કરી સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો હતો. બિહાર વિધાનસભામાં હાલ 242 સભ્યો છે અને બહુમતી માટે આંકડો 122 ઘારાસભ્યોની જરૂર પડે છે.
જેડીયુના પોતાના 45 ધારાસભ્યો છે અને તેને એક અપક્ષ ધારાસભ્યનું સમર્થન છે. જ્યારે આરજેડી પાસે 79 ધારાસભ્યો છે. કોંગ્રેસ પાસે 19 છે, જ્યારે સીપીઆઈ-એમએલ પાસે 12 ધારાસભ્યો છે, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ) અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (સીપીઆઈ-એમ) ના બે-બે ધારાસભ્યોએ પણ તેમને સમર્થન પત્રો આપ્યા છે. હિન્દુસ્તાની આવામ મોરચાના ચાર ધારાસભ્યો પણ નીતિશ સાથે છે.
અહીં તમને જણાવી દઈએ કે, નીતિશ કુમારે આરોપ લગાવ્યો કે કેન્દ્રીય મંત્રી અમિત શાહ સતત JDUમાં ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે. નીતિશ કુમારે પાર્ટીના પૂર્વ નેતા આરસીપી સિંહ પર અમિત શાહના પ્યાદા તરીકે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો.