જીવલેણ બનતી ઉત્તર ભારતની કાતિલ ઠંડી, હાર્ટ એટેકથી 98 લોકોના મોત
સામે આવી રહેલા આંકડા અનુસાર, કાનપુરમાં જ છેલ્લા એક અઠવાડિયામાં હાર્ટ એટેક અને બ્રેન એટેકથી 98 લોકોના મોત થયા છે. આ આંકડા એલપીએસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજીના હવાલાથી સામે આવ્યા છે.
કાનપૂર : ઉત્તર ભારત હાલ કાતિલ ઠંડીની ઝપટમાં છે. પહાડી વિસ્તારોમાં ભારે બરફ વર્ષાને કારણે ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી જોવા મળી રહી છે. ઠંડીને કારણે ભારે ધુમ્મસનો પણ સામનો કરી રહ્યો છે ત્યારે હવે સામે આવેલા આંકડાએ તંત્રની ઉંઘ ઉડાડી દીધી છે.
ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે ઠંડીના કારણે લોકોને ઘરોમાંથી બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે ત્યારે બીમાર લોકો માટે મોટી સમસ્યાઓ સર્જાઈ રહી છે. હવે સામે આવી રહેલા ઉત્તર પ્રદેશના આંકડાઓએ ઠંડીની ગંભીરતા સાબિત કરી છે. આંકડા અનુસાર કાનપુરની SPS હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં 24 કલાકમાં 14 દર્દીઓના મોત થયા છે.
આ તો વાત થઈ છેલ્લા 24 કલાકના આંકડાની પરંતુ છેલ્લા કેટલાક દિવસોનો જે આકંડો સામે આવી રહ્યો છે તે ચિંતા વધારનારો છે. સામે આવી રહેલા આંકડા અનુસાર, કાનપુરમાં જ છેલ્લા એક અઠવાડિયામાં હાર્ટ એટેક અને બ્રેન એટેકથી 98 લોકોના મોત થયા છે. આ આંકડા એલપીએસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજીના હવાલાથી સામે આવ્યા છે.
કાનપુરની લક્ષ્મીપત સિંઘાનિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ કાર્ડિયાક સર્જરીના આંકડા અનુસાર, ગુરુવારે 723 હૃદયના દર્દીઓ હોસ્પિટલના ઈમરજન્સી અને આઉટપેશન્ટ વિભાગમાં સારવાર માટે દાખલ થયા હતા.
વિગતો અનુસાર, ઠંડીમાં અચાનક બ્લડપ્રેશર વધી જવાથી નસોમાં લોહી ગંઠાવાની સમસ્યાઓ સર્જાઈ રહી છે. જેના કારણે હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોક આવી રહ્યા છે. ઠંડી વધતા ડોક્ટરો 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને બહાર ન નીકળવા સલાહ આપી રહ્યા છે.