બાંગ્લાદેશી ઘૂસણખોરી પર 13 વર્ષ પહેલા અલગ હતા મમતા બેનર્જીના સૂર
ઘૂસણખોરી મામલે હુમલાખોર જોવા મળી રહેલા મમતા બેનર્જીના સૂર 13 વર્ષ પહેલા કંઈક અલગ જ હતા.
અસમમાં એનઆરસીનો બીજો ડ્રાફ્ટ જાહેર થયા બાદ મમતા બેનર્જીએ ચેતવણી આપતા કહ્યુ હતુ કે જો બંગાળમાં એનઆરસી થોપવાની કોશિશ કરી તો ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાશે અને ખૂનખરાબો થશે. તેમણે હુમલો કરતા કહ્યુ હતુ કે ભાજપ લોકોમાં ભાગલા પાડવાની કોશિશ કરી રહ્યુ છે જે સાંખી લેવામાં નહિ આવે. પરંતુ ઘૂસણખોરી મામલે હુમલાખોર જોવા મળી રહેલા મમતા બેનર્જીના સૂર 13 વર્ષ પહેલા કંઈક અલગ જ હતા.
બંગાળમાં ઘૂસણખોરી પર શું બોલ્યા હતા મમતા?
મમતા બેનર્જી આજે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટરના બીજા ડ્રાફ્ટનો વિરોધ કરી રહ્યા છે અને ગૃહ યુદ્ધ શરૂ કરવાની ચેતવણી આપી રહ્યા છે તેમણે વર્ષ 2005 માં સંસદમાં આ ઘૂસણખોરી પર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યુ હતુ કે બંગાળમાં ઘૂસણખોરી એક મુસીબત બની ચૂક્યુ છે અને મતદાર યાદીમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી નાગરિકો પણ છે. તે સમયે જ્યારે આ મુદ્દે સ્પીકર ચરણજીતસિંહ અટવાલે તેમને બોલવાની પરવાનગી ના આપી ત્યારે મમતાએ સંસદમાં ખૂબ હોબાળો કર્યો હતો. મમતા બેનર્જીએ ગુસ્સામાં સ્પીકર ચરણજીતસિંહ અટવાલ ઉપર કાગળો ફાડીને ફેંકી દીધા હતા. મમતા બેનર્જી બંગાળમાં ઘૂસણખોરી મામલે લોકસભામાં સ્થગન પ્રસ્તાવ લઈને આવ્યા હતા અને આના પર સંસદમાં ચર્ચા કરાવવાની માંગ કરી હતી.
13 વર્ષ પહેલા સંસદમાં કર્યો હતો હોબાળો
હવે 13 વર્ષ બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અસમમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટરનો ખૂબ વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. તેમનું કહેવુ છે કે રાજકીય હિતો માટે આમ કરવામાં આવી રહ્યુ છે જેથી લોકોમાં ભાગલા પાડી શકાય. ભાજપે પણ મમતા બેનર્જી સામે મોરચો ખોલી દીધો છે અને અરુણ જેટલીએ એક ટ્વિટ દ્વારા તેમને ઘેર્યા છે.
|
અરુણ જેટલીએ કર્યો મમતા પર હુમલો
અરુણ જેટલીએ ટ્વિટ કર્યુ, ‘4 ઓગસ્ટ, 2005 ના રોજ મમતા બેનર્જીએ લોકસભામાં કહ્યુ હતુ કે બંગાળમાં ખૂસણખોરી એક મુસીબત બની ગઈ છે. મારા હાથોમાં બાંગ્લાદેશી અને ભારતીય મતદાર યાદી છે. આ એક ખૂબ જ ગંભીર મુદ્દો છે, હું જાણવા ઈચ્છુ છુ કે સંસદમાં આના પર ક્યારે ચર્ચા થશે?' જેટલીએ પોતાના બ્લોગમાં કોંગ્રેસ અને ટીએમસી પર એનઆરસીનો વિરોધ કરવા માટે હુમલો કર્યો છે. જેટલીએ કહ્યુ છે કે મમતા હવે 2005 માં પોતે કહેલી વાતથી પલટી રહ્યા છે.