ઓમિક્રૉને વધારી મહારાષ્ટ્ર સરકારની ચિંતા, મુંબઈમાં 2 દિવસ માટે કલમ 144 લાગુ
કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનના સતત નવા કેસ મળ્યા બાદ મહારાષ્ટ્ર સરકારની ચિંતાઓ વધી ગઈ છે.
મુંબઈઃ કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનના સતત નવા કેસ મળ્યા બાદ મહારાષ્ટ્ર સરકારની ચિંતાઓ વધી ગઈ છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં ઓમિક્રૉન વેરિઅંટના કુલ 7 નવા દર્દી મળ્યા જેમાંથી 3 કેસ એકલા મુંબઈમાં રેકૉર્ડ કરવામાં આવ્યા. નવા કેસ મળ્યા બાદ મહારાષ્ટ્રમાં ઓમિક્રૉન વેરિઅંટના કુલ કેસોની સંખ્યા 17 અને દેશમાં 32 થઈ ગઈ છે. ત્યારબાદ સાવચેતી રૂપે ઓમિક્રૉનના વધતા કેસોને જોતા મુંબઈ પોલિસે બે દિવસ - 11 અને 12 ડિસેમ્બર માટે કલમ 144 લાગુ કરી દીધી છે જેમાં મોટા સભાઓ અને ભીડવાળા કાર્યક્રમો પર રોક રહેશે.
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોનાના નવા વેરિઅંટ ઓમિક્રૉનના જે સાત નવા કેસ મળ્યા તેમાં એક સાડા ત્રણ વર્ષની બાળકી પણ છે. મુંબઈ પોલિસના ડીસીપી તરફથી જાહેર આ નવા આદેશ મુજબ આ બે દિવસો દરમિયાન શહેરની સીમાઓની અંદર રેલીઓ અને વિરોધ પ્રદર્શન કરવાની સંપૂર્ણ મનાઈ છે. પોતાના આદેશમાં ડીસીપીએ કહ્યુ, 'કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનના જોખમના લોકોને બચાવવામાટે આ પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અમરાવતી, માલેગાંવ અને નાંદેડમાં હાલમાં થયેલી હિંસા બાદ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાના હેતુથી પણ આ પગલુ લેવામાં આવ્યુ છે.'
ધારાવીનો રહેવાસી છે ઓમિક્રૉનથી સંક્રમિત એક દર્દી
મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગે જણાવ્યુ કે મુંબઈમાં મળેલા ઓમિક્રૉન વેરિઅંટથી સંક્રમિત ત્રણે દર્દી પુરુષ છે જેમાંથી એકની ઉંમર 48 વર્ષ, બીજાની 37 વર્ષ અને ત્રીજા દર્દીની ઉંમર 25 વર્ષ છે. આ ત્રણે દર્દીઓ હાલમાં ક્રમશઃ તાંઝાનિયા, યુકે અને દક્ષિણ આફ્રિકાના નૈરોબીની યાત્રાથી પાછા આવ્યા હતા. એકલા મુંબઈમાં હવે ઓમિક્રૉનથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 5 થઈ ગઈ છે. વળી, બીએમસીએ જણાવ્યુ કે તાંઝાનિયાની યાત્રાથી પાછો આવેલો 48 વર્ષીય દર્દી મુંબઈની ગીચ વસ્તી ધારાવીનો રહેવાસી છે પરંતુ લોકો વચ્ચે હળતા-મળતા પહેલા જ તેને આઈસોલેટ કરી દેવામાં આવ્યો હતો.