રાયબરેલી, 22 એપ્રિલ : કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી માટે પ્રચાર કરવા માટે ચૂંટણી મેદાનમાં આવેલા પ્રિયંકા ગાંધીએ તેમના વિરોધીઓને સજ્જડ જવાબ આપ્યો છે. પ્રચાર દરમિયાન પ્રિયંકાએ કહ્યું કે વિરોધીઓ તેમના પતિ અને પરિવાર પર રાજકીય હુમલો કરી રહ્યા છે અને તેમને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે, જેનાથી તેઓ દુખી છે.
પ્રિયંકાએ જણાવ્યું કે દેશમાં મારા પતિ, તેમના જમીનના સોદા અંગે જાત જાતની વાતો થઇ રહી છે. આ બધી વાતો ખોટી છે. લોકો શા માટે વ્યક્તિગત હુમલાઓ કરી રહ્યા છે? દેશમાં વિકાસ, યુવાનોને આગળ કેવી રીતે વધારવા જેવા મુદ્દાઓ પર વાતો કરવાને બદલે નકામા મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી રહી છે.
આ સાથે પ્રિયંકાએ ચેતવણી પણ આપી હતી તે જો મારા પતિને વધારે બદનામ કરવામાં આવશે તો હું બમણી તાકાતથી લડીશ અને તેનો વિરોધ કરીશ. કોંગ્રેસ પાર્ટીના મુખ્ય વિરોધી ભાજપ અંગે પ્રિયંકાએ કહ્યું કે 'ભાજપ રાવણ જેવો છે, જેના અનેક ચહેરા છે.'
રાયબરેલીમાં પ્રચાર કરતા સમયે પ્રિયંકાએ પરોક્ષ રીતે ભાજપ પર પ્રહારો કરતા કહ્યું કે, જનતા વચ્ચે ઝહેર ઘોળાઈ રહ્યું છે. મારા પરિવારને બદનામ કરે છે તેઓ. આવા સમયે મેં મારી માતાના આ દેશને અપનાવ્યો છે. આપણે એ જ કરવું જોઈએ, જે આપણે અનુભવીએ છીએ.
પ્રિયંકાએ સ્થાનિક લોકોને સોનિયા ગાંધી અને કોંગ્રેસને મત આપવા માટે અપીલ કરી હતી.