Parliament Monsoon Session : ચોમાસુ સત્ર પહેલા હોબાળો, જાણો તમામ અપડેટ
Parliament Monsoon Session: સંસદના બંને સદનોમાં ચોમાસુ સત્રની શરૂઆત હોબાળા સાથે રહી થઇ હતી. જે કારણે બંને સદનોની કાર્યવાહી બપોરે 2 કલાક સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. મણિપુર હિંસા અને મણિપુરની બે મહિલાઓના વીડિયો અંગે રાજ્યસભામાં જોરદાર હોબાળો મચ્યો હતો.
ચોમાસુ સત્રના પહેલા દિવસે હોબાળાને કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 કલાક સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. ગૃહની શરૂઆત પહેલા વડાપ્રધાન મોદીએ તમામ સાંસદોને જનહિતમાં ગૃહમાં કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

સરકારે ચોમાસુ સત્ર દરમિયાન 31 બીલ રજૂ કરવાનો સંપૂર્ણ કાર્યક્રમ તૈયાર કર્યો છે. એક ખરડો એક વટહુકમને બદલવાનો છે, જે કેન્દ્રને દિલ્હીમાં પોસ્ટ કરવામાં આવેલા અમલદારોને નિયંત્રિત કરવાની સત્તા આપે છે.
દિલ્હીના નોકરિયાતો માટે લાવવામાં આવેલા વટહુકમને લઈને રાજ્યસભામાં સરકાર અને વિપક્ષ વચ્ચે મોટા પાયે ઘર્ષણ થવાની સંભાવના છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના કહેવા પ્રમાણે, આ વટહુકમ સામે વિરોધ પક્ષો તેમની સાથે છે.
ભાજપ અને તેના સાથી પક્ષો પાસે 105 સભ્યો હોવાને કારણે (બિલ પસાર કરવાનો) મુદ્દો સરકારની તરફેણમાં જઈ શકે છે. ભાજપને પાંચ નામાંકિત અને બે અપક્ષ સાંસદોના સમર્થનનો પણ વિશ્વાસ છે. તે માયાવતીની બહુજન સમાજ પાર્ટી, જનતા દળ સેક્યુલર અને તેલુગુ દેશમ પાર્ટીના સમર્થન પર પણ ગણતરી કરી રહી છે, જેની પાસે એક-એક સાંસદ છે.
સરકારને નવીન પટનાયકની BJD અને જગન મોહન રેડ્ડીની YSR કોંગ્રેસની મદદની જરૂર પડશે. આ બંને પક્ષોમાં નવ-નવ સભ્યો છે.
જોકે, બીજેડીએ હજુ સુધી તેનું વલણ સ્પષ્ટ કર્યું નથી. પાર્ટીનું કહેવું છે કે, જ્યારે બીલ ચર્ચા અને મતદાન માટે આવશે, ત્યારે તે નિર્ણય લેશે. જગન રેડ્ડીએ પણ હજુ સુધી પોતાનો નિર્ણય આપ્યો નથી.
આ બધા વચ્ચે વિપક્ષે માંગ કરી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુરમાં થયેલી હિંસા પર સંસદમાં નિવેદન આપે. કેટલાક પક્ષોએ ચોમાસુ સત્રના પહેલા દિવસે મણિપુર પર સ્થગિત પ્રસ્તાવ લાવવાની પણ યોજના બનાવી છે.
બુધવારના રોજ મણિપુરમાં હિંસાના કેટલાક અહેવાલો પણ સામે આવ્યા છે. બુધવારના રોજ જ્યારે બે આદિવાસી મહિલાઓનો નગ્ન પરેડ કરવાનો વીડિયો સામે આવ્યો અને વ્યાપકપણે પ્રસારિત થયો, ત્યારે લોકોમાં રોષ વધી રહ્યો છે. મહિલાઓ પર સામૂહિક બળાત્કારનો પણ આરોપ છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
મણિપુર હિંસા અંગે ટીએમસીના ડેરેક ઓ'બ્રાયને માંગ કરી હતી કે, વડાપ્રધાન મોદીએ સંસદના બંને ગૃહોમાં આ અંગે નિવેદન આપવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, મનની વાત પૂરતી છે, હવે મણિપુર વિશે વાત કરવાનો સમય આવી ગયો છે.
આ સાથે જ કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, તે મણિપુર પર ચર્ચા માટે તૈયાર છે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, સરકાર મણિપુરમાં બે મહિનાથી ચાલેલી હિંસા સહિત સંસદમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 80થી વધુ લોકોના મોત થયા છે.
ઉલ્લેખનીય છે કે, સંસદનું ચોમાસુ સત્ર 11 ઓગસ્ટ સુધી ચાલશે. સત્ર દરમિયાન કુલ 17 બેઠકો થશે. સત્ર જૂના સંસદ ભવનમાં શરૂ થશે, પરંતુ બાદમાં નવા બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
