ભાજપી સાંસદના પગ ધોઈ કાર્યકર્તાએ પીધું પાણી, વિવાદ પર બોલ્યા- કૃષ્ણએ પણ ધોયા હતા
ભાજપી સાંસદના પગ ધોઈ કાર્યકર્તાએ પાણી પીતાં થયો વિવાદ
નવી દિલ્હીઃ ઝારખંડના ગોડ્ડાથી ભાજપના સાંસદ નિશિકાંત દુબે હાલ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ તસવીર અને વીડિયોમાં કાર્યકર્તા નિશિકાંત દુબેના પગ ધોઈને પાણી પીતા જોવા મળી રહ્યા છે. ખુદ સાંસદે પોતાની આ તસવીર ફેસબુક પર શેર કરી હતી. જો કે આ મામલાને લઈને વિવાદ સર્જાતાં સાંસદે આમાં કંઈ ખોટું ન હોવાનું જણાવી કહ્યું કે આ મુદ્દે રાજનીતિ ન થવી જઈએ.
જાણો સમગ્ર મામલો
જણાવી દઈએ કે ભાજપના સાંસદ નિશિકાંત દુબે રવિવારે કનભારા પુલના શિલાન્યાસ સમારોહમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન ભાજપના કાર્યકર્તા પંકજ શાહે કહ્યું કે સાંસદે પુલ ભેટમાં આપીને નાગરિકો પર ઉપકાર કર્યો છે. આ અવસર પર સાંસદના પગ ધોઈને પાણી પીવાનું મન કરી રહ્યું છે. બાદમાં કાર્યકર્તાએ થાળી અને પાણી મંગાવી સાંસદના પગ ધોવાનું શરૂ કરી દીધું હતું. સાંસદે પણ કંઈ વાંધો ઉઠાવ્યા વિના પગ ધોવા માટે આગળ ધરી દીધા હતા. એટલું જ નહિ, કાર્યકર્તાઓએ પગ ધોયા બાદ પાણી પણ પીધું હતું.
|
થયો વિવાદ
આ ઘટનાની તસવીર પોતાના ફેસબુક અકાઉન્ટ પર શેર કરતા સાંસદે લખ્યું- આજે હું ખુદને બહુ નાનો કાર્યકર્તા સમજી રહ્યો છું. ભાજપના મહાન કાર્યકર્તા પવન શાહજીએ પુલની ખુશી પર હજારો લોકોની સામે પગ ધોઈને પાણી પીધું. જો કે લોકોએ આ તસવીર અને વીડિયોને પગલે સાંસદને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.
સાંસદે કરી સ્પષ્ટતા
કાર્યકર્તા પાસેથી પગ ધોવડાવવા મામલે વિવાદ સર્જાતા સાંસદ નિશિકાંત દુબેએ ફેસબુક પર બીજી એક પોસ્ટ લખી સ્પષ્ટતા આપી. એમણે લખ્યું કે, આપણા હોય તેમાં શ્રેષ્ઠતા વેંચવામાં ન આવે અને કાર્યકર્તાઓ પગ ધોઈને આ ખુશી વ્યક્ત કરતા હોય તો તેમાં શું વાંધો છે? એમણે જનતા સામે કસમ ખાધી હતી કે પુલ બનશે તો સાંસદના પગ ધોઈશ, એવામાં જનતાને ઠેસ ના પહોંચે તેથી તેમના વચનનું સન્માન કર્યું. ઝારખંડમાં અતિથીના પગ ધોઈને જ સ્વાગત કરવામાં આવે છે, બધા કાર્યક્રમોમાં શું આદિવાસી મહિલાઓ આવું નથી કરતી? આ મુદ્દાને રાજનૈતિક રંગ કેમ આપી રહ્યા છો. મહાભારતમાં કૃષ્ણજીએ શું પગ નહોતા ધોયા? હલકી માનસિકતા ધરાવનારાઓ પર ધિક્કાર છે.