પટના ગાંધી મેદાન સિરિયલ બ્લાસ્ટ કેસ: NIA કોર્ટમાં નવ દોષિત, એકને મુક્ત કરવામાં આવ્યો
આઠ વર્ષ પહેલા 2013માં બિહારની રાજધાની પટનાના ગાંધી મેદાનમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં NIA કોર્ટે બુધવારના રોજ કુલ 10 આરોપીઓમાંથી 9ને દોષિત ઠેરવ્યા છે.
નવી દિલ્હી : આઠ વર્ષ પહેલા 2013માં બિહારની રાજધાની પટનાના ગાંધી મેદાનમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં NIA કોર્ટે બુધવારના રોજ કુલ 10 આરોપીઓમાંથી 9ને દોષિત ઠેરવ્યા છે. આ સાથે જ એક આરોપીને પુરાવાના અભાવે કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. વર્ષ 2013માં ગાંધી મેદાનમાં વિસ્ફોટ થયા હતા, જ્યારે ભાજપના તત્કાલિન વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે અહીં એક રેલીનું સંબોધન કરવા જઈ રહ્યા હતા.

NIA કોર્ટે છેલ્લી તારીખે આ કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. બુધવારના રોજ ચુકાદો આપવામાં આવ્યો છે. તમામ 10 લોકો પટનાની બેઉર જેલમાં બંધ છે. જેમાં બુધવારના રોજ નવને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને એકને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.
આજની તારીખે થયા હતા બ્લાસ્ટ
NIA કોર્ટે ગાંધી મેદાન બ્લાસ્ટ કેસમાં 27 ઓક્ટોબરના રોજ પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. ખાસ વાત એ છે કે, ગાંધી મેદાનમાં આ બ્લાસ્ટ 2013માં 27 ઓક્ટોબરના રોજ પણ થયા હતા. આ વિસ્ફોટોમાં છ લોકોના મોત થયા હતા અને 89 લોકો ઘાયલ થયા હતા. બિહાર પોલીસના જણાવ્યા અનુસાર રેલીના દિવસે પટનામાં કુલ 18 બોમ્બ મૂકવામાં આવ્યા હતા. રેલીના સ્થળ ગાંધી મેદાનમાં પણ છ વિસ્ફોટ થયા હતા. ત્યારબાદ આ કેસની તપાસ NIAને સોંપવામાં આવી હતી.
કેસની તપાસ કરી રહેલી NIA ટીમે ઓગસ્ટ 2014માં હૈદર અલી, નોમાન અંસારી, મુજીબુલ્લા અંસારી, ઈમ્તિયાઝ આલમ, અહેમદ હુસૈન, ફકરુદ્દીન, ફિરોઝ અસલમ, ઈમ્તિયાઝ અંસારી, ઈફ્તિકાર આલમ, અઝહરુદ્દીન કુરેસી અને એક સગીર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. જુવેનાઈલ બોર્ડ દ્વારા કિશોરને ત્રણ વર્ષની જેલની સજા થઈ ચૂકી છે. બાકીના દોષિત ઠર્યા બાદ હવે કોર્ટ સજાની જાહેરાત કરશે.












Click it and Unblock the Notifications
