દિગ્ગજ હસ્તીઓ.. જેમણે 2016 માં દુનિયાને અલવિદા કહી
વર્ષ 2016 જે એક તરફ ઘણી બાબતોમાં ખાસ રહ્યુ તો બીજી તરફ ઘણી મોટી હસ્તીઓને પણ આપણાથી દૂર લઇ ગયુ. રાજકારણ, સિનેમા અને સાહિત્ય સાથે જોડાયેલી આ હસ્તીઓનુ જવુ વર્ષ 2016 ની સૌથી દુખદ પળો રહી...
થોડાક દિવસોમાં વીતી ગયેલી ક્ષણોમાં સામેલ થનાર વર્ષ 2016 પોતાની સાથે ઘણી કડવી યાદો પણ છોડી જશે. આ વર્ષે ઘણી એવી હસ્તીઓ આપણી વચ્ચેથી ચાલી ગઇ જેમનો ચહેરો સામે આવતા જ ઘણા પાના જાતે જ પલટાવા લાગે છે. આ હસ્તીઓની તેમની સાથે જોડાયેલી દુનિયામાં એક ખાસ જગ્યા હતા. વર્ષ 2017 ના સ્વાગતની સાથે આવો નજર નાખીએ એવા ચહેરાઓ પર જે માત્ર યાદોના અરીસામાં જ દેખાશે.
પ્રત્યુષા બેનર્જી
નાના પડદા પર ‘બાલિકા વધુ' માં આનંદીના નામથી પ્રખ્યાત થયેલી પ્રત્યુષા બેનર્જી આપણને આ વર્ષે છોડીને ચાલી ગઇ. તેનો મૃતદેહ લગભગ 8 મહિના પહેલા એપ્રિલમાં મુબઇના ગોરેગાવમાં તેના જ ફ્લેટમાં પંખામાં લટકેલી હાલતમાં મળી આવ્યો હતો.
પોસ્ટમોર્ટમના રિપોર્ટ અનુસાર પ્રત્યુષાનું મોત શ્વાસ રુંધાવાને કારણે થયુ હતુ. તેના નજીકના લોકોનું કહેવુ હતુ કે કામ અને આર્થિક બેકારીથી તે પરેશાન હતી પરંતુ તે એટલી કમજોર નહોતી કે આત્મહત્યા કરી લે. આ મામલે પ્રત્યુષાના પ્રેમી રાહુલ રાજ સિંહ પર આત્મહત્યા માટે ઉકસાવવાનો આરોપ છે. રાહુલ હાલમાં જામીન પર બહાર છે અને તેનો દાવો છે કે પ્રત્યુષાના માતા-પિતાએ તેના પર ખોટા આરોપ લગાવ્યા છે.
રજ્જાક ખાન
દૂબળા-પાતળા શરીર છતાં પોતાની કોમેડીથી બોલીવુડમાં ખાસ જગ્યા બનાવનાર કોમેડિયન એક્ટર રજ્જાક ખાન આ વર્ષે 1 જૂને હ્રદય રોગનો હુમલો પડવાને કારણે મૃત્યુ પામ્યા.
રજ્જાક ખાને મોહરા, બાજીગર, ક્યોંકિ મે જૂઠ નહિ બોલતા, હંગામા, હેલો બ્રધર અને હેરા ફેરી જેવી યાદગાર ફિલ્મો કરી. રજ્જાકે 100 થી પણ વધુ ફિલ્મોમાં હાસ્ય ભૂમિકાઓ નિભાવી છે. આ ફિલ્મોમાં રજ્જાકે પોતાના અભિનયથી લોકોને ખૂબ હસાવ્યા.
જયલલિતા
લાંબી બિમારી બાદ 5 ડિસેમ્બરના રોજ તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા જીવનની જંગ હારી ગયા. અમ્માના નામથી જાણીતા જયલલિતાના નિધનના સમાચારથી તેમના ઘણા સમર્થકોના મોત નીપજ્યા.
જયલલિતાએ મુખ્યમંત્રી પદ પર રહીને ઘણા એવા દમદાર કામ કર્યા જેના કારણે તેમના સમર્થકો જ નહિ વિપક્ષી પક્ષો પણ તેમની પ્રશંસા કરે છે. આને કારણે જ તેમના સમર્થકો તેમના પર જીવ આપતા હતા. જે રીતે જયલલિતાની અંતિમ યાત્રામાં લોકોનો જુવાળ ઉમટ્યો હતો તેનાથી સ્પષ્ટ હતુ કે અમ્માની જનકલ્યાણકારી યોજનાઓએ લોકોના દૈનિક જીવનને ઘણુ બદલી દીધુ હતુ.
રાજેશ વિવેક
વીરાના, જોશીલે, બેંડિટ ક્વીન, લગાન, બંટી ઓર બબલી અને સ્વદેશ જેવી યાદગાર ફિલ્મો કરનાર રાજેશ વિવેકનું 14 જાન્યુઆરીએ નિધન થઇ ગયુ. આ ફિલ્મોમાં રાજેશે ખૂબ ઉમદા અભિનય કર્યો હતો. રાજેશને મહાભારત સીરિયલમાં વેદવ્યાસની ભૂમિકા માટે પણ યાદ કરવામાં આવે છે. વીરાના અને જોશીલેમાં તેણે નેગેટીવ રોલ કર્યો હતો જ્યારે મુઝશે શાદી કરોગી અને બંટી ઓર બબલી જેવી ફિલ્મોમાં તેમની કોમેડીએ ખૂબ હસાવ્યા.
નિદા ફાજલી
આ વર્ષે 8 ફેબ્રુઆરીએ હિંદી અને ઉર્દૂના જાણીતા શાયર નિદા ફાજલીનું નિધન થઇ ગયુ. ‘કભી કિસીકો મુક્કમમલ જહાં નહિ મિલતા' જેવી જાણીતી ગઝલો લખનાર નિદા ફાજલીનું પૂરુ નામ મુક્તિદા હસન નિદા ફાજલી હતુ. દિલ્હીમાં જન્મેલા ફાજલીના માતા પિતા વિભાજન દરમિયાન પાકિસ્તાન જતા રહ્યા હતા પરંતુ ફાજલી ભારતમાં જ રહ્યા.
તેમને સાહિત્ય અકાદમી અને પદ્મશ્રી પુરસ્કારથી પણ સન્માનવામાં આવ્યા હતા. તેમની જાણીતી ગઝલો ‘કભી કિસીકો મુક્કમલ જહાં નહિ મિલતા' ‘હોશવાલો કો ખબર ક્યા' (સરફરોશ), ‘તૂ ઇસ તરહ સે મેરી જિંદગી મે' (આપ તો એસે ના થે) અને ‘આ ભી જા, આ ભી જા' (સૂર) વગેરે રહી.
ફિદેલ કાસ્ત્રો
ક્યૂબાના પૂર્વ રાષ્ટ્રપતિ અને ક્રાંતિકારી નેતા ફિદેલ કાસ્ત્રોનું નિધન પણ આ વર્ષે 26 નવેમ્બરે થયુ. કાસ્ત્રો ક્યૂબાના 17 માં રાષ્ટ્રપતિ રહી ચૂક્યા હતા. વર્ષ 2008 માં કાસ્ત્રોએ રાજકારણમાંથી સન્યાસ લીધો હતો પરંતુ તેઓ રાજકારણમાં સલાહકારની ભૂમિકામાં રહ્યા. કાસ્ત્રો 17 વર્ષ સુધી ક્યૂબાના પ્રધાનમંત્રી રહ્યા અને પછી 32 વર્ષ સુધી તેમણે રાષ્ટ્રપતિ તરીકે દેશ પર રાજ કર્યુ. વર્ષ 1956 માં કાસ્ત્રોએ ક્યૂબા ક્રાંતિની શરુઆત કરી હતી. વર્ષ 1959 માં તેમણે ક્યૂબાના તાનશાહ બટિસ્ટાનો તખ્તોપલટ કરી દીધો. ત્યારબાદ તો કાસ્ત્રો નેશનલ હીરો બની ગયા.
પોતાના સમગ્ર જીવનકાળમાં તેમણે જેની નાકમાં સૌથી વધુ દમ લાવી દીધો તે અમેરિકા હતુ. આના કારણે અમેરિકાએ ફિદેલ કાસ્ત્રોને મારવા માટે 638 રીતોનો ઉપયોગ કર્યો હતો પરંતુ અમેરિકા આમાં એક વાર પણ સફળ થયુ નહોતુ.
મહાશ્વેતા દેવી
જાણીતા સાહિત્યકાર અને સામાજિક કાર્યકર મહાશ્વેતા દેવી પણ આ વર્ષે આપણને છોડીને ચાલ્યા ગયા. તેમનું 28 જુલાઇના રોજ નિધન થયુ હતુ. મહાશ્વેતા દેવીનું લાંબા સમયની બિમારી બાદ નિધન થયુ હતુ.
મહાશ્વેતા દેવીને ગ્યાનપીઠ, પદ્મ વિભૂષણ, સાહિત્ય અકાદમી અને મેગ્સેસે જેવા મોટા સમ્માનોથી નવાજવામાં આવ્યા હતા. તેમણે લાંબા સમય સુધી આદિવાસીઓ વચ્ચે કામ કર્યુ. તેમના સાહિત્યનો મોટાભાગનો હિસ્સો આદોવાસીઓના જીવન પર આધારિત હતો. મહાશ્વેતા દેવીએ હજાર ચૌરાસી કી મા, બેસ્ટ સ્ટોરીઝ અને ત્રણ કોરિર શાધ જેવા બહુચર્ચિત પુસ્તકો લખ્યા. તેમના કેટલાક પુસ્તકો પર ફિલ્મો પણ બની.
ચો રામાસ્વામી
તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાના નજીકના અને રાજકીય સલાહકાર રહેલા ચો રામાસ્વામીનું 7 ડિસેમ્બરે નિધન થઇ ગયુ. ભાજપ તરફથી રાજ્યસભામાં સાંસદ રહી ચૂકેલા રામાસ્વામી એક આભિનેતા અને વરિષ્ઠ પત્રકાર પણ હતા.
રાજકારણની ઉમદા સમજ ધરાવતા રામાસ્વામી પાસે જયલલિતા હંમેશા સલાહ લેતા હતા. રાજકીય વિશ્લેષક હોવા ઉપરાંત તેમનું જીવન થિયેટર સાથે પણ જોડાયેલું રહ્યુ. આ ઉપરાંત તેઓ તમિલ પત્રિકા તુઘલકના સંપાદક પણ હતા.
રામાસ્વામી એવા વ્યક્તિ હતા જેમની પ્રશંસા જયલલિતા પણ કરતી હતી અને તેમની રાજકીય સલાહ પણ લેતી હતી. એક સમયે જ્યારે જયલલિતા વિપક્ષોથી ત્રસ્ત થઇને ચેન્નઇ છોડવા ઇચ્છતી હતી તો રામાસ્વામીએ જ તેમને ધૈર્યથી કામ કરવાની સલાહ આપી હતી.
એ બી વર્ધન
આ વર્ષે 2 જાન્યુઆરીએ સીપીઆઇના દિગ્ગજ નેતા એ બી વર્ધનનું લાંબી માંદગી બાદ નિધન થયુ. વર્ધન પોતાની રાજકીય સફરમાં માત્ર એક જ ચૂંટણી જીતી શક્યા.
તે 1957 મહારાષ્ટ્ર નિધાનસભા ચૂંટણીમાં અપક્ષ હતા. ત્યારબાદ વર્ધને 1967 અને 1980 ના લોકસભા ચૂંટણીમાં પણ ભાગ લીધો પરંતુ તે જીતી શક્યા નહિ. 1996 માં વર્ધનને સીપીઆઇના મહાસચિવ બનાવવામાં આવ્યા.
અનુપમ મિશ્ર
પ્રખ્યાત પર્યાવરણવિદ અને ગાંધીવાદી અનુપમ મિશ્રએ પણ આ વર્ષે 19 ડિસેમ્બરે આ દુનિયાને અલવિદા કહી દીધી. મિશ્ર ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના ટ્રસ્ટી અને રાષ્ટ્રીય ગાંધી સ્મારક નિધિના ઉપાધ્યક્ષ હતા.
‘રાજસ્થાન કી રજત બુંદે' ‘આજ ભી ખરી હે તાલાબ' અને ‘સાફ માથે કા સમાજ' તેમની જાણીતી રચનાઓ હતી. તેમના પ્રયાસોને કારણે દુષ્કાળગ્રસ્ત અલવરમાં જળ સંરક્ષણનું કામ શરુ થયુ હતુ.
ચંડી પ્રસાદ ભટ્ટ સાથે કામ કરતા તેમણે ઉતરાખંડના ચિપકો આંદોલનમાં જંગલો બચાવવા માટે સહયોગ આપ્યો હતો. તેઓ જળ સંરક્ષક રાજેન્દ્ર સિંહની સંસ્થા તરુણ ભારત સંઘના લાંબા સમય સુધી અધ્યક્ષ પણ રહ્યા હતા.
મુફ્તી મોહમ્મદ સઇદ
જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઇદનું નિધન પણ આ વર્ષે 7 જાન્યુઆરીએ થયુ અને તેમના નિધન બાદ તેમની દીકરીએ મુખ્યમંત્રી તરીકે ખુરશી સંભાળી.
મુફ્તી મોહમ્મદ સઇદ સ્વતંત્ર ભારતના પહેલા મુસ્લિમ ગૃહમંત્રી હતા. વર્ષ 1989 માં તેમની દીકરી રુબૈયા સઇદનું અપહરણ કરવામાં આવ્યુ હતુ. રુબૈયાના બદલામાં આતંકવાદીઓએ પોતાના પાંચ સાથીઓને છોડાવ્યા હતા. વર્ષ 2015 માં જમ્મૂ-કાશ્મીરના વિધાનસભા ચૂંટણીમાં પીડીપી સૌથી મોટો પક્ષ બન્યો અને ભાજપ સાથે ગઠબંધન કરીને મુફ્તી મોહમ્મદ સઇદ મુખ્યમંત્રી બન્યા.