બિહારની જાતિય વસ્તી ગણતરી વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો શું માંગ કરાઈ?
સામે આવી રહેલી વિગતો અનુસાર, જાતિય વસ્તી ગણતરી વિરૂદ્ધ હવે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઈ છે.
નવી દિલ્હી : બિહારમાં જાતિ મુજબની વસ્તી ગણતરીને લઈને રાજનીતિ ચાલી રહી છે ત્યારે હવે આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. સામે આવી રહેલી વિગતો અનુસાર, જાતિય વસ્તી ગણતરી વિરૂદ્ધ હવે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઈ છે.
બિહારમાં જાતિય વસ્તી ગણતરી વિરૂદ્ધ કરાયેલી અરજીમાં કહેવાયુ છે કે, બંધારણ અનુસાર કોઈપણ રાજ્યને વસ્તી ગણતરી કરવાનો અધિકાર નથી. 1948ના સેન્સસ એક્ટ હેઠળ પણ રાજ્ય સરકારને વસ્તી ગણતરી કરવાનો અધિકાર આપવામાં આવ્યો નથી. રાજ્ય સરકારનું આ પગલું સામાજિક વિસંગતતાને પણ પ્રોત્સાહન આપવાનું છે તેથી આ જનગણના રદ કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટમાં બિહારના નાલંદાના રહેવાસી અખિલેશ કુમારે આ અરજી કરી છે. અરજીમાં કહેવાયુ છે કે, સર્વપક્ષીય બેઠકમાં લેવાયેલા નિર્ણયના આધારે આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વિધાનસભામાંથી કાયદો પસાર કર્યા વિના આ કરવામાં આવી રહ્યું છે. આ સ્થિતિમાં 6 જૂન 2022ના રોજ જારી કરાયેલા નોટિફિકેશનનો કોઈ કાનૂની આધાર નથી.
આ અરજીમાં 2017માં અભિરામ સિંહ કેસમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચના નિર્ણયને પણ ટાંકવામાં આવ્યો છે. અરજીમાં કહેવાયુ છે કે, તે નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જાતિ અને સાંપ્રદાયિક આધાર પર વોટ માંગવો ખોટું છે. બિહારમાં રાજકીય કારણોસર જાતિના આધારે સમાજને વિભાજીત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.
અહીં તમને જણાવી દઈએ કે, બિહારમાં મહાગઠબંધન સરકારે શનિવારે જાતિય વસ્તી ગણતરીની શરૂઆત કરાવી છે. આ મુદ્દે મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે આ કવાયત સમાજના તમામ વર્ગોના ઉત્થાન માટે મદદરૂપ સાબિત થશે.