નક્સલી મુદ્દે પ્રધાનમંત્રીએ બોલાવી સર્વદળીય બેઠક
ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે સહીત સરકારના વરિષ્ઠમંત્રી પણ આ બેઠકમાં હાજર રહેશે. બેઠકમાં વામપંથી ઉગ્રવાદ દ્વારા રજૂ કરવામાં આવેલ પડકારોથી લડવાની રણનીતિ પર સામાન્ય સહમતિ બનાવવા પર ભાર મૂકાઇ શકે છે.
છત્તીસગઢના નક્સલી હુમલામાં કોંગ્રેસ નેતાઓના માર્યા ગયા બાદ નક્સલી સમસ્યાને નાથવા અને આ મામલા પર વિચાર-વિમર્શ કરવા માટે દરેક દળોને આ બેઠકમાં બોલાવવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીના ઘરે ગયા અઠવાડીએ યુપીએ સમન્વય સમિતિની યોજાયેલી બેઠકમાં આ અંગેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, શરદ પવાર, નેશનલ કોંફ્રન્સ પ્રમુખ ફારુક અબ્દુલ્લા અને આઇયૂએમએલ પ્રમુખ ઇ અહમદ પણ હાજર રહ્યા હતા.
પ્રધાનમંત્રીએ આંતરિક સુરક્ષા પર મુખ્યમંત્રીઓના સમ્મેલનમાં કહ્યું હતું કે સરકારની બે પ્રકારની માઓવાદ વિરોધી રણનીતિને મજબૂત બનાવવાની જરૂરત છે. અત્રે ઉલ્લેખનીય છે કે નક્સલીઓએ 25 મેના રોજ બસ્તર જિલ્લામાં કોંગ્રેસ નેતાઓના કાફિલા પર હુમલો કર્યો હતો જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ નંદ કુમાર પટેલ, તેમના પુત્ર દિનેશ, વરિષ્ઠ નેતા મહેન્દ્ર કર્મા સહિત 27 લોકોના મોત થઇ ગયા હતા.