કોઈ મહાગઠબંધન નથી, બધાને પ્રધાનમંત્રી બનવુ છેઃ પીએમ મોદી
પીએમ મોદીએ ‘સ્વરાજ્ય' મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં કોંગ્રેસ સહિત વિપક્ષી દળો પર હુમલો કરતા મહાગબંધનને પોતાના સ્વાર્થ માટે કરાયેલુ ગઠબંધન ગણાવ્યુ.
લોકસભા ચૂંટણી 2019 ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, એનડીએ સામે એક મહાગઠબંધન ઉભુ કરવાની વિપક્ષ દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. વળી, મહાગઠબંધનની કોશિશો અને રાજકીય ઘમાસાણ વચ્ચે પીએમ મોદીએ વિપક્ષી દળો પર મોટો હુમલો કર્યો છે. પીએમ મોદીએ 'સ્વરાજ્ય' મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં કોંગ્રેસ સહિત વિપક્ષી દળો પર હુમલો કરતા મહાગબંધનને પોતાના સ્વાર્થ માટે કરાયેલુ ગઠબંધન ગણાવ્યુ.
પોતાનું અસ્તિત્વ બચાવવા માટે ગઠબંધન કરી રહ્યા છે વિપક્ષ
પીએમ મોદીને પૂછવામાં આવ્યુ કે શું તે 1977 અને 1989 ની જેમ મહાગઠબંધન અંગે ચિંતિત છે જે ભાજપ સામે 2019 માં મુકાબલા માટે તૈયાર થતુ દેખાઈ રહ્યુ છે. આના જવાબમાં પીએમ મોદીએ કહ્યુ કે ભાજપ વિકાસ અને સુશાસનના મુદ્દે ચૂંટણી લડતી આવી છે. આર્થિક મામલા, સુરક્ષા અને વિદેશ નીતિના ક્ષેત્રમાં સરકારે સારુ કામ કર્યુ છે. 2014 બાદ દેશના ઘણા ભાગોમાં લોકોએ ભાજપને સમર્થન આપ્યુ છે. લોકોએ જે રીતે, દરેક ચૂંટણીમાં પોતાનો સહયોગ આપ્યો છે, આશા છે કે આગળ પણ તે ભાજપને ફરીથી ચૂંટશે. 1977 ની પરિસ્થિતિ કંઈ અલગ હતી, તે વખતે દેશ ઈમરજન્સીનું ઝેર ગળી રહ્યો હતો અને લોકો સામે લોકતંત્ર બચાવવાની ચુનોતી હતી. જ્યારે 1989 માં બોફોર્સ ગોટાળાને કારણે લોકોમાં ઘણો ગુસ્સો હતો. આજે આ પક્ષો પોતાના સ્વાર્થ માટે અને પોતાની રાજકીય કારકિર્દી બચાવવા માટે મહાગઠબંધન કરવા ઈચ્છે છે, દેશહિત માટે નહિ. તેમની પાસે કોઈ મુદ્દો નથી મોદીને હટાવવા સિવાય.
કોંગ્રેસને દેશની જનતાએ રિજેક્ટ કરી દીધી
પીએમ મોદીને જ્યારે પૂછવામાં આવ્યુ કે ગઠબંધનની રાજનીતિ મામલે વિપક્ષ ભાજપથી એક ડગલુ આગળ દેખાઈ રહ્યુ છે તો પીએમ મોદીએ કહ્યુ કે દેશે સમજવુ પડશે કે કોંગ્રેસ માટે ગઠબંધનનો અર્થ શું છે. 1998 માં સોનિયા ગાંધીએ ગઠબંધનની રાજનીતિની સામે એક પક્ષના શાસન પર જોર આપ્યુ હતુ. કોંગ્રેસ આજે પણ પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યુ છે અને આ માત્ર એટલા માટે સંભવ બન્યુ કારણકે દેશની જનતાએ તેમને રિજેક્ટ કરી દીધી છે. આજે કોંગ્રેસ એક ક્ષેત્રીય દળ જેવી બની ગઈ છે. તેમની પાસે માત્ર 3 રાજ્ય છે અને દિલ્હી, સિક્કિમ ઉપરાંત આંધ્રપ્રદેશમાં કોઈ પકડ નથી. યુપી, બિહારમાં તેમની સ્થિતિ બધાને ખબર છે. દેશની જનતાને કોંગ્રેસ વિશે ખબર છે. કોંગ્રેસે ચૌધરી ચરણસિંહ, એચડી દેવગૌડાથી માંડીને ચંદ્રશેખર સુધી બધાને અપમાનિત કરવાનું કામ કર્યુ છે.
અસલી રેસ માત્ર પીએમ બનવાની છે, કોઈ મહાગઠબંધન નથી
જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે વિપક્ષ મહાગઠબંધનને લઈને એકજૂટ જોવા મળી રહ્યુ છે તેના જવાબમાં પીએમ મોદીએ કહ્યુ કે કોઈ મહાગઠબંધન નથી. અસલી રેસ માત્ર પીએમ બનવાની છે. રાહુલ ગાંધી પહેલા કહી ચૂક્યા છે કે તે પીએમ બનવા ઈચ્છે છે પરંતુ ટીએમસી પરેશાની છે. મમતા બેનર્જી પણ પીએમ બનવા ઈચ્છતા હતા પરંતુ લેફ્ટને તેનાથી મુશ્કેલી છે. સપાના ઘણા નેતા પોતાને પીએમના ઉમેદવાર સમજે છે. આખી રાજનીતિ સત્તા માટે થઈ રહી છે જનતાની ભલાઈ વિશે કોઈ વિચારતુ નથી. મોદી માટેની નફરત જ વિપક્ષનું સાથે આવવાનુ કારણ છે જો કે એવુ નથી કે તેમણે 2014 માં અને ત્યારબાદની વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનની કોશિશ નથી કરી. આનુ પરિણામ બધાની સામે છે.