એશિયાના સૌથી લાંબા પુલનું મોદીએ કર્યું ઉદઘાટન, ચીન ચિંતામાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામમાં એશિયાના સૌથી લાંબા પુલનું ઉદઘાટન કર્યું છે.
સરકારના ત્રણ વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામમાં એશિયાના સૌથી લાંબા પુલનું ઉદઘાટન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદીએ ત્રણ વર્ષ પહેલાં આજના દિવસે 26 મે, 2014ના રોજ વડાપ્રધાન પદની શપથ લીધી હતી. આજે શુક્રવારના રોજ તેઓ આસામની મુલાકાતે છે, અહીં તેમણે બ્રહ્મપુત્ર નદી પર બનેલ દેશના સૌથી લાંબા પુલ 'ઢોલા-સદિયા'નું ઉદઘાટન કર્યું હતું. અહીં પીએમ મોદી એક રેલી પણ સંબોધિત કરનાર છે. કહેવાઇ રહ્યું છે કે, તેઓ આજે પોતાની સરકારની ત્રણ વર્ષની ઉપલબ્ધિઓને સરકાર સમક્ષ મુકશે.
આસામની આ મુલાકાત દરમિયાન તેઓ અનેક પરિયોજનાઓનો શુભારંભ પણ કરનાર છે. અહીં તેઓ એમ્સ તથા એક કૃષિ કેન્દ્રનું ખાત મુહૂર્ત કરશે.

ઢોલા-સાદિયા પુલ
વડાપ્રધાનના હસ્તે જે પુલનું ઉદઘાટન કરવામાં આવ્યું છે, તે પુલ લગભગ સાડા નવ કિલોમીટર લાંબો છે. આસામના તિનસુકિયામાં સ્થિત આ ઢોલા-સાદિયા પુલ શરૂ થતાં આસામ અને અરુણાચલ પ્રદેશ વચ્ચેની 6 કલાકની યાત્રા માત્ર એક કલાકમાં કરી શકાશે. આ પુલ અરુણાચલ પ્રદેશની નજીક આવેલો છે અને અરુણાચલ પ્રદેશ ચીનની નજીક છે. આથી આ પુલ શરૂ થતાં ભારતીય સેનાની તે ખૂબ ઉપયોગી સાબિત થશે. ચીન પાસેના વિસ્તારોમાં ટ્રૂપ્સ તથા ભારે હથિયારો લાદવામાં પુલને કારણે ખૂબ સરળતા રહેશે.

સેના માટે ઉપયોગી પુલ
જ્યારે આ પુલ નહોતો ત્યારે ટ્રૂપ્સે ધોલાથી સદિયા સુધીના યાત્રા હોડીથી કરવી પડતી હતી. આ સિવાય ટ્રૂપ્સે દિનજાન ડિવિઝન હેડક્વોર્ટર પહોંચી 250 કિલોમીટરની યાત્રા કરવી પડતી હતી. આટલી લાંબી યાત્રા બાદ જવાન તિનસુકિયાથી નજીક આવેલ અરુણાચલ પ્રદેશના તેજુ પહોંચતા અને ત્યાંથી બોર્ડર જવા માટે રવાના થતા. આ બંન્ને યાત્રાઓમાં કલાકોનો સમય જતો અને યાત્રા અસુવિધાજનક પણ રહેતી, પરંતુ હવે આ પુલ શરૂ થતાં જવાનો માટે આ યાત્રા સુવિધાજનક થશે અને એમાં સમય પણ ઓછો જશે.
સેનાની ક્ષમતામાં વધારો
આ પુલ શરૂ થયા બાદ જવાનોની આઠ કલાકની યાત્રા માત્ર 4.5 કલાકોમાં પૂર્ણ થશે. આ પુલના કારણે ચીનની બોર્ડર પાસે મિલિટ્રી ટ્રૂપ્સની મૂવમેન્ટ ખૂબ સરળ થઇ જશે. સંઘર્ષ કે સંકટના સમયે ખૂબ ઓછા સમયમાં દારૂ-ગોળો અને અન્ય જરૂરી સામાન બોર્ડર સુધી પહોંચાડી શકાશે. અહીંથી ચીનની બોર્ડર માત્ર 100 કિલોમીટર દૂર છે. 9.15 કિલોમીટર લાંબો આ પુલ બાંદ્રા-વર્લી સી લિંક કરતા પણ લાંબો છે. બ્રહ્મપુત્ર નદી પર આ ચોથો પુલ છે, જેનો સૌથી વધુ ફાયદો ભારતીય સેનાને જ મળશે. આ પુલ શરૂ થતાં સેનાનો 3થી 4 કલાકનો સમય બચશે. અસમમાં સેનાની કોઇ પણ ચોકીથી અરુણાચલ-ચીન બોર્ડર પર સ્થિત કિબિથૂ, વાલાંગ અને છાલંગ સ્થિત ચોકી પર પહોંચતા ખૂબ ઓછો સમય લાગશે. આ પુલના કારણે દેશના ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં સેનાની રક્ષા ક્ષમતામાં વધારો થશે.












Click it and Unblock the Notifications
