મંત્રીમંડળ વિસ્તરણ પહેલાં નવા મંત્રીઓ સાથે PMએ કરી મુલાકાત
મોદી સરકારના 3જા મંત્રીમંડળ ફેરબદલ અને વિસ્તરણ પહેલાં નવા મંત્રીઓ સાથે પીએમ મોદીએ કરી મુલાકાત
3 સપ્ટેમ્બરને રવિવારના રોજ કેન્દ્રની મોદી સરકાર ત્રીજીવાર મંત્રીમંડળ વિસ્તરણ અને ફેરબદલ કરશે. આ ફેરબલ અને વિસ્તરણની સાથે નવા મંત્રીઓનો શપથગ્રહણ કાર્યક્રમ પણ યોજાશે. શપથ લેનાર તમામ મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. 10.30 વાગે મંત્રીમંડળ વિસ્તરણ શરી થશે. આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારની સવારે 9 વાગે તમામ 9 મંત્રીઓને બ્રેકફાસ્ટ પર બોલાવ્યા હતા. જેમાં પીએમ મોદીએ ભવિષ્ય અંગેના પોતાના વિચારો મંત્રીઓ સમક્ષ રજૂ કર્યા હતા. કહેવાઇ રહ્યું છે કે, વર્ષ 2019 પહેલાં આ કેન્દ્રિય મંત્રીમંડળનું છેલ્લું વિસ્તરણ છે.
પીએમ મોદીના મંત્રીમંડળમાં ઉમેરાનારા 9 ચહેરાઓમાં બે યુપી, 2 બિહાર, 1 દિલ્હી, 1 રાજસ્થાન, 1 મધ્ય પ્રદેશ, 1 કર્ણાટક અને 1 કેરળના મંત્રી છે. નવા મંત્રીઓની પસંદગીમાં મંત્રીઓનો રાજકારણીય અનુભવ અને સ્વચ્છ છબી મુખ્ય માપદંડ રહ્યા છે. મંત્રીમંડળમાં જગ્યા મેળવનાર નવા મંત્રીઓમાં હરદીપ સિંહ પુરી, ગજેન્દ્ર સિંહ શેખાવત, સત્યપાલ સિંહ, અલ્ફોંસ કન્નાથમ, અશ્વિની કુમાર ચૌબે, શિવ પ્રતાપ શુક્લા, વિરેન્દ્ર કુમાર, અનંત કુમાર હેગડે અને રાજ કુમાર સિંહનો સમાવેશ થાય છે.
આ મંત્રીમંડળ ફેરબદલમાં મુખ્તાર અબ્બાસ નકવીનું પ્રમોશન થાય એવી શક્યતા છે. સાથે જ અન્ય બે મંત્રીઓ નિર્મલા સીતારણ અને ધર્મેન્દ્ર પ્રધાનના પણ પ્રમોશનની ખબરો છે. તો બીજી બાજુ, હાલમાં જ એનડીએમાં જોડાયેલ જેડીયુને આમંત્રણ આપવામાં નથી આવ્યું. એવા પણ સમાચાર છે કે, નીતીશ કુમાર ભાજપની ઓફરથી ખુશ નથી. જેડીયુના નેતા કે.સી.ત્યાગીનું કહેવું છે કે, મંત્રીમંડળ વડાપ્રધાનનો વિશેષાધિકાર છે.