જોશીમઠની ઘટનાને લઈને પીએમ મોદીએ મુખ્યમંત્રી ધામી સાથે વાત કરી, જાણો શું વાત થઈ?
જોશીમઠની ઘટનાને લઈને સરકાર એક્શનમાં છે. મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે વાત કરી હતી.
નવી દિલ્હી : ઉત્તરાખંડના જોશીમઠમાં થયેલી ભુસ્ખલનની ઘટનાને લઈને પીએમ મોદીએ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે વાત કરી છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ વાત ખુુદ મીડિયાને જણાવી હતી. મુખ્યમંત્રી ધામીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન પર ઘટનાની વિગતવાર માહિતી લીધી છે. તેમણે પૂછ્યું છે કે આનાથી કેટલા લોકો પ્રભાવિત થયા છે, કેટલું નુકસાન થયું છે, લોકોના વિસ્થાપન માટે શું કરવામાં આવી રહ્યું છે? વડાપ્રધાને જોશીમઠને બચાવવા માટે શક્ય તમામ મદદની ખાતરી આપી છે.
જોશીમઠની ઘટનાને લઈને પીએમ કાર્યાલયમાં એક હાઈલેવલ બેઠક પણ યોજવામાં આવી રહી છે. પીએમઓ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યુ કે, પીએમ મોદીના અગ્ર સચિવ ડૉ. પીકે મિશ્રા પીએમઓમાં કેબિનેટ સચિવ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સભ્યો સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજશે.
પીએમઓમાં યોજાવા જઈ રહેલી આ બેઠકમાં જોશીમઠ જિલ્લાના પદાધિકારીઓ વીડિયો કોન્ફરન્સિંગથી બેઠકમાં જોડાશે. બેઠકમા્ં ઉત્તરાખંડના તમામ વરિષ્ઠ અધિકારીઓ વીડિયો કોન્ફરન્સિંગથી હાજરી આપશે.
અહીં તમને જણાવી દઈએ કે, બદ્રીનાથ અને હેમકુંડ સાહિબ જેવા તીર્થસ્થળો હાલ બંધ છે. જોશીમઠમાં જમીન ધસવાને કારણે મોટા પડકારો ઉભા થયા છે. હાલ જોશીમઠમાં 600 થી વધુ ઘરોમાં તિરાડો પડી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શનિવારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને એવા લોકોને મળ્યા હતા જેમના ઘરોમાં તિરાડો પડી ગઈ છે.
આ મુદ્દે પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે, નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો જમીન ધસવા પાછળના કારણો સૂચવવા અભ્યાસ કરી રહ્યા છે. ધામીએ કહ્યું કે, લોકોનો જીવ બચાવવો એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.