PM મોદી આજે મેઘાલય-ત્રિપુરાના પ્રવાસે, 6800 કરોડની યોજનાઓની આપશે ભેટ
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેઘાલય અને ત્રિપુરાનો પ્રવાસ કરશે. જે દરમિયાન તેઓ 6800 કરોડથી વધુની વિવિધ યોજનાઓનું લોકોર્પણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 ડિસેમ્બરના રોજ મેઘાલય અને ત્રિપુરાનો પ્રવાસ કરશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6800 કરોડથી વધુની યોજના આ બંને રાજ્યોને ભેટ આપશે. જેમાં આવાસ, ખેતી, માર્ગ, દુરસંચાર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, પ્રવાસન અને અતિથિ ગૃહો સહિતની યોજનાઓનો સમાવેશ થાય છે. વડાપ્રધાન શિલોંગમાં પૂર્વોત્તર પરિષદના સ્વર્ણ જયંતિ સમારોહમાં પણ ભાગ લેશે. આ પરિષદની સ્થાપના સત્તાવાર રીતે 7 નવેમ્બર, 1972ના રોજ કરવામાં આવી હતી.
PMO દ્વારા જણાવવામાં આવ્યું છે કે, PM મોદી 18 ડિસેમ્બરના રોજ શિલોંગમાં 4G મોબાઈલ ટાવર રાષ્ટ્રને સમર્પિત કરશે. આ સિવાય વડાપ્રધાન મોદી અગરતલા બાયપાસને પહોળા કરવાના પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે. PM મોદી અગરતલામાં 'પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી અને ગ્રામીણ' હેઠળ બે લાખથી વધુ લાભાર્થીઓ માટે ગૃહ પ્રવેશ કાર્યક્રમ પણ શરૂ કરશે.
એક સત્તાવાર પ્રેસ રીલીઝમાં જણાવવામાં આવ્યું છે કે, NEC એ ઉત્તર પૂર્વીય ક્ષેત્રના સામાજિક-આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે અને ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય, રમતગમત, જળ સંસાધનો, કૃષિ, પર્યટન અને ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં તમામ રાજ્યોમાં અનેક માળખાકીય પ્રોજેક્ટ્સ અને અન્ય વિકાસના પ્રયાસોને સમર્થન આપ્યું છે. NEC એ મહત્વપૂર્ણ મૂડી અને સામાજિક માળખાને પ્રોત્સાહન આપવામાં મદદ કરી છે.
PM મોદી સવારે 10:30 કલાકે પહોંચશે શિલોંગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10:30 કલાકે શિલોંગના સ્ટેટ કન્વેન્શન સેન્ટરમાં નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલની બેઠકમાં પણ હાજરી આપશે. આ સિવાય વડાપ્રધાન મોદી સાર્વજનિક કાર્યક્રમમાં રૂપિયા 2,450 કરોડથી વધુની કિંમતના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
સમર્પિત કરશે દેશને 4G મોબાઈલ ટાવર
પ્રદેશમાં ટેલિકોમ કનેક્ટિવિટીને વધુ બહેતર બનાવવાના પગલામાં, વડાપ્રધાન મોદી રાષ્ટ્રને 4G મોબાઇલ ટાવર સમર્પિત કરશે, જેમાંથી 320 થી વધુ પૂર્ણ થઈ ગયા છે અને લગભગ 890 બાંધકામ હેઠળ છે. આ સિવાય વડાપ્રધાન મોદી ઉમસાવલી ખાતે IIM શિલોંગના નવા કેમ્પસનું પણ સત્તાવાર ઉદ્ઘાટન કરશે.
કરશે અનેક રોડ પ્રોજેક્ટનું અનાવરણ
આ દરમિયાન વડાપ્રધાન મોદી શિલોંગ-ડિંગપાસોહ રોડનું ઉદ્ઘાટન પણ કરશે. આ રોડનો ઉદ્દેશ ન્યૂ શિલોંગ સેટેલાઇટ ટાઉનશીપ સાથે કનેક્ટિવિટી સુધારવા અને શિલોંગમાં ટ્રાફિકને રાહત આપવાનો છે. આ સિવાય વડાપ્રધાન મોદી મેઘાલય, મણિપુર અને અરુણાચલ પ્રદેશમાં ચાર અન્ય રોડ પ્રોજેક્ટનું પણ અનાવરણ કરશે.
'સ્પોન લેબોરેટરી'નું ઉદ્ઘાટન કરશે વડાપ્રધાન મોદી
મશરૂમ સ્પાનનું ઉત્પાદન વધારવા અને ખેડૂતો અને વેપારી માલિકોને કૌશલ્ય વિકાસ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે, વડાપ્રધાન મોદી મેઘાલયમાં મશરૂમ વિકાસ કેન્દ્ર ખાતે 'સ્પોન લેબોરેટરી' શરૂ કરશે.
વડાપ્રધાન મોદી મેઘાલયમાં સંકલિત મધમાખી ઉછેર વિકાસ કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરશે, જે મધમાખી ઉછેર કરતા ખેડૂતોને તેમની કુશળતા અને એડવાન્સ ટેક્નોલોજીને વધારીને વધુ સારી રીતે જીવન જીવવામાં મદદ કરશે.
21 હિન્દી પુસ્તકાલયોનું ઉદ્ઘાટન કરશે PM મોદી
વડાપ્રધાન મોદી મિઝોરમ, મણિપુર, ત્રિપુરા અને આસામમાં 21 હિન્દી પુસ્તકાલયોનું પણ ઉદ્ઘાટન કરશે. રીલીઝમાં જણાવવામાં આવ્યું છે કે, વડાપ્રધાન આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા રાજ્યોમાં છ રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
વડાપ્રધાન મોદી તુરા અને શિલોંગ ટેક્નોલોજી પાર્ક ફેઝ-2 ખાતે ઈન્ટીગ્રેટેડ હોસ્પિટાલિટી અને કન્વેન્શન સેન્ટરનો શિલાન્યાસ પણ કરશે. ટેક્નોલોજી પાર્ક ફેઝ II માં અંદાજે 1.5 લાખ ચોરસ ફૂટનો બિલ્ટ-અપ વિસ્તાર હશે. તે વ્યાવસાયિકો માટે નવી તકો પ્રદાન કરશે અને 3000 થી વધુ નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે.