"કોંગ્રેસ નહીં, મોદી સરકાર છે..કામ તો કરવું જ પડશે.."
દાદરા અને નગર હવેલીના સેલવાસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાસપોર્ટ સેવા કેન્દ્ર અને જન આયુષી કેન્દ્રનું ઉદઘાટન કર્યું હતું.
પોતાના બે દિવસીય ગુજરાત પ્રવાસના બીજા દિવસે એટલે કે સોમવારે તાપી માં સુમુલ ડેરીના પ્રોજેક્ટનું ઉદઘાટન કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નાગર હવેલી ખાતે પહોંચ્યા હતા. દાદરા અને નાગર હવેલીના સિલવાસા ખાતે પાઘડી પહેરાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે અહીં પાસપોર્ટ સેવા કેન્દ્ર અને સ્વાસ્થ્ય ઔષધિ કેન્દ્ર સહિત પાંચ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું. આ સાથે જ પીએમ મોદીએ કેન્દ્રની વિવિધ યોજનાઓ હેઠળ લગભગ 21000 લાભાર્થીઓને સહાયતા કિટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં પાંચ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું. પોસ્ટ ઓફિસ, પાસપોર્ટ સેવા કેન્દ્ર, ફ્રી વાઇ-ફાઇ ઝોન, મેગા વોટર સોલાર પાવર સ્ટેશન, લેખાભવન અને સ્વાસ્થ્ય ઔષધિ કેન્દ્રનું ઉદઘાટન થયું હતું. ત્યાર બાદ કેન્દ્રની યોજનાઓના લાભાર્થીઓને સહાયતા કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ સ્ટેજ પર સહાયતા કિટ લેવા આવેલા દિવ્યાંગ બાળકને જાતે વ્હીલચેર સાથે સ્ટેજ પરથી નીચે ઉતાર્યો હતો.
વડાપ્રધાન તરીકે પહેલીવાર આવ્યો છું
વિતરણ કાર્યક્રમ બાદ નરેન્દ્ર મોદીએ જનસભા સંબોધી હતી. તેમણે ભાષણની શરૂઆતમાં લોકોને પૂછ્યું, મરાઠી બોલાયચ, ગુજરાતી બોલાયચ કે હિંદી બોલાયચ.. આખરે પીએમ મોદીએ હિંદીમાં ભાષણની શરૂઆત કરી હતી. નરેન્દ્ર મોદીએ કહ્યું કે, નાના સિલવાસામાં માનવ મહેરામણ ઊભરાયેલું જોઇને અહીંના લોકોને આશ્ચર્ય થતું હશે. કેન્દ્ર શાસિત લોકોને કઇ સરકાર આવી એ ખબર જ નહોતી પડતી. પહેલા કયા વડાપ્રધાન અહીં આવ્યા હતા. મોરારજીભાઇ દેસાઇએ અહીંની મુલાકાત લીધી હતી, ત્યાર બાદ પહેલીવાર હું વડાપ્રધાન તરીકે અહીં આવ્યો છું.
કોંગ્રેસ નહીં, મોદી સરકાર છે
'દાદરા અને નાગર હવેલીમાં અધિકારીઓ રાજ કરતા. અધિકારીઓના કામમાં ઢીલાશ હવે નહીં ચાલે. આ કોંગ્રેસની નહીં, મોદીની સરકાર છે. અહીં તમારે કામ કરવું જ પડશે.'
સિલાવાસામાં સ્કૂટર પર ફર્યો છું
સિલવાસાના લાયન્સ સ્કૂલ સંકુલમાં સંબોધન કરતાં નરેન્દ્ર મોદીએ આગળ કહ્યું કે, સિલવાસા માટે હું નવો નથી. હું સ્કૂટર પર સિલવાસામાં ફર્યો છું. વિકાસની દરેક સંભાવના મને ખબર છે. અહીં 800 પરિવારો પાસે ઘર નથી. વર્ષ 2022માં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થશે, ત્યારે આ તમામને વીજળીની સુવિધાવાળા ઘર મળશે. દાદરા અને નાગર હવેલીના 8000 પરિવારોને ગેસ સિલિન્ડર આપવામાં આવશે.
કોંગ્રેસ અહીંના આદિવાસીઓને ભડકાવતી હતી
'સિલવાસાના આદિવાસીઓને કોંગ્રેસ ભડકાવતી હતી. જમીન નથી અપાતી કરીને આદિવાસીઓની ઉશ્કેરણી કરવામાં આવતી હતી. સિલવાસાના આદિવાસીઓને જમીનનો હક મળ્યો છે. પહેલાં સિલાવાસાવાસીઓને લાગતું હતું કે, અમારું કોઇ નથી. હવે દાદરા અને નાગર હવેલીના લોકોને પણ લાગવા માંડ્યું છે કે, દિલ્હીમાં તેમનો કોઇ રખવાળો બેઠો છે. આ ભારતીયોનો દેશ છે. કોઇની સાથે કોઇ ભેદભાવ થવાનો સવાલ જ નથી. દાદરા અને નાગર હવેલીના વિકાસ માટે કેન્દ્ર સરકાર કૃત સંકલ્પ છે.'












Click it and Unblock the Notifications
