યુપીના નવા મેયરોને ભાજપ ગુજરાતના ચૂંટણી મેદાન ઉતારશે
ઉત્તર પ્રદેશના નવા ચૂંટાયેલા મેયર ગુજરાતના સુરતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપનો પ્રચાર કરશે. જાણો આ અંગે વધુ માહિતી અહીં.
ઉત્તર પ્રદેશ હાલમાં તેની સ્થાનિક ચૂંટણી પૂર્ણ કરી. ત્યારે નવા બનેલા મેયરો આજે દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને યુપી ભાજપાના અધ્યક્ષ ડૉ. મહેન્દ્રનાથ પાંડે પણ હાજર હતા. ત્યારે આ 16માંથી 14 ભાજપના મેયરને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પ્રચાર માટે ગુજરાત મોકલવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ તમામને પીએમ સાથે મુલાકાત કરી એક સ્પેશ્યલ પ્લેનથી સુરત મોકલવામાં આવશે. જ્યાં તે ભાજપ માટે વોટ માંગશે અને ભાજપનો પ્રચાર પ્રસાર કરશે.
ઉલ્લેખનીય છે કે ભાજપને ઉત્તર પ્રદેશની આ ચૂંટણીમાં લીડ મળી છે. ત્યારે મનાઇ રહ્યું છે કે ઉત્તર પ્રદેશના આ મેયરોને ગુજરાત મોકલીને કોંગ્રેસની ઉત્તર પ્રદેશ શું હાલત છે તે જણાવી ભાજપ તરફ પ્રચાર કરવામાં માટે મોકલવામાં આવી રહ્યા છે. સુરતમાં આમ પણ પાટીદાર આંદોલનના કારણે ભાજપ આ સીટ પર જીતવા માટે ખાસ પ્રયાસો આદરી રહ્યું છે. ત્યારે એક તરફ જ્યાં ગુજરાતમાં ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્ય નાથની સભામાં પાંખી હાજરી જોવા મળે છે ત્યાં જ સુરતમાં ઉત્તર પ્રદેશના મેયરોને પ્રચારમાં ઉતારવાથી ભાજપને કોઇ લાભ થાય છે કેમ તે હવે જોવું રહ્યું.