નક્સલી ચિઠ્ઠી બાદ પીએમ મોદીને રોડ શો ન કરવાની સલાહ, SPG, CPG અને CAT એલર્ટ પર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નક્સલીઓ દ્વારા પૂર્વ પીએમ રાજીવ ગાંધીની જેમ હત્યા કરવાના ષડયંત્રનો ખુલાસો થયા બાદ સુરક્ષા એજન્સીઓમાં હડકંપ મચી ગયો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નક્સલીઓ દ્વારા પૂર્વ પીએમ રાજીવ ગાંધીની જેમ હત્યા કરવાના ષડયંત્રનો ખુલાસો થયા બાદ સુરક્ષા એજન્સીઓમાં હડકંપ મચી ગયો છે. પૂણે પોલિસના ખુલાસા બાદ પ્રધાનમંત્રીની સુરક્ષાની જવાબદારી સંભાળનાર સુરક્ષા એજન્સી એસપીજી (સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ) એ પીએમ મોદીની સુરક્ષામાં લાગેલા પોતાના જવાનોને એલર્ટ કરી દીધા છે. આ સાથે જ એસપીજીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રોડ શો ન કરવાની સલાહ આપી છે. તમને જણાવી દઈએ કે પૂણે પોલિસને ભીમા કોરગાંવ હિંસા મામલે ધરપકડ કરાયેલ એક આરોપી પાસેથી એક ચિઠ્ઠી મળી છે જેમાં રોડ શો દરમિયાન પીએમ મોદી પર હુમલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
CPG (ક્લોઝ્ડ પ્રોટેક્શન ગ્રુપ) ના જવાન સતર્ક
એનડીટીવીના સમાચારો મુજબ આ ષડયંત્રનો પર્દાફાશ થયા બાદ પ્રધાનમંત્રીની સુરક્ષામાં લાગેલી એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. એસપીજી ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદીની અંદરની સુરક્ષાની જવાબદારી સંભાળનાર સીપીજી (ક્લોઝ્ડ પ્રોટેક્શન ગ્રુપ) ના જવાનોએ દરેક સ્થિતિને પહોંચી વળવા માટે એલર્ટ કરી દીધા છે. સીપીજીના જવાન હંમેશા પીએમ મોદીની આસપાસ જ રહે છે અને તે કોઈ પણ હુમલાખોર કે આતંકવાદીને થોડીક ક્ષણોમાં નષ્ટ કરવાની ક્ષમતા રાખે છે.
CAT ના જવાનોને વિશેષ નિર્દેશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષાને ખૂબ જ ગંભીરતાથી લેતા એસપીજીની CAT (ક્વિક રિસ્પોન્સ ટીમ) ને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. કેટ એ ટીમ છે જે પ્રધાનમંત્રી પર કોઈ પણ પ્રકારના હુમલાની સ્થિતિમાં તરત જ રિસ્પોન્સ કરે છે. કેટના જવાનો દરેક સ્થિતિને પહોંચી વળવા માટે આકરી ટ્રેનિંગ આપવામાં આવે છે. આ જવાનો પાસે આધુનિક હથિયાર હોય છે.
શું હતુ નક્સલીઓની ચિઠ્ઠીમાં?
પૂણેમાં પોલિસે જણાવ્યુ કે ભીમા કોરેગાંવમાં થયેલી હિંસા મામલે રોના જૈકબ વિલ્સન, સુધીર ઢાવલે, સુરેન્દ્ર ગાડલિંગ સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલિસનું કહેવુ છે કે પીએમ મોદીની હત્યાના ષડયંત્રવાળી ચિઠ્ઠી વિલ્સનના દિલ્હીમાં મુનિરકા સ્થિત ફ્લેટમાંથી મળી આવી છે. આ ચિઠ્ઠીમાં લખ્યુ છે, "મોદીના નેતૃત્વમાં હિંદુ ફાંસીવાદ આદિવાસીઓને બરબાદ કરી રહ્યુ છે. ભાજપનું એક પછી એક રાજ્યમાં સરકાર બનાવવાનું ચાલુ રહ્યુ તો મોટી મુશ્કેલી ઉભી થશે. કેટલાક કોમરેડે મોદી રાજને ખતમ કરવા માટે અમુક મજબૂત પગલાં સૂચવ્યા છે. અમે બધા રાજીવ ગાંધી જેવા હત્યાકાંડ પર વિચાર કરી રહ્યા છે. બની શકે કે અમે નિષ્ફળ થઈએ પરંતુ અમને લાગે છે કે પક્ષ અમારા પ્રસ્તાવ પર વિચાર કરશે."