PM કિસાન સમ્માન નિધિ હેઠળ આજે 9.75 કરોડ ખેડૂતોના ખાતામાં 19500 કરોડ રૂપિયા થશે જમા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો 9મો હપ્તો આજે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા જાહેર કરશે.
આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યોજનાના લાભાર્થી ખેડૂતો સાથે વાત કરશે અને દેશને સંબોધિત કરશે. તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ રકમ વર્ષમાં ત્રણ વાર 2-2 હજાર રૂપિયાના હપ્તામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. દર ચોથા મહિને ખેડૂતોના ખાતામાં 2-2 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં અત્યાર સુધી 1.38 લાખ કરોડ રૂપિયાની રકમને ટ્રાન્સફર કરવામાં આવી ચૂકી છે.
આ પહેલા 14 મેના રોજ પીએમ મોદીએ 8મો હપ્તો જાહેર કર્યો હતો. ગઈ વખતે કુલ 90 મિલિયન એટલે કે લગભગ 9 કરોડ લોકોના બેંક ખાતામાં આ યોજનાનો આઠમો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ગઈ વખતે પણ પ્રધાનમંત્રી મોદીએ વીડિયો કૉન્ફરન્સિંહ દ્વારા 8મો હપ્તો જાહેર કર્યો હતો. નોંધનીય વાત એ છે કે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના મોદી સરકારની મહત્વની યોજનાઓમાંની એક છે જેનો સીધો લાભ દેશના કરોડો ખેડૂતોને થાય છે.