ડૉ. રામ મનોહર લોહિયાની જયંતિ પર પીએમ મોદીએ સાધ્યુ કોંગ્રેસ-સપા પર નિશાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણા દિવસોથી પોતાના બ્લૉગ દ્વારા વિપક્ષ પર નિશાન સાધી રહ્યા છે. આ વખતે તેમનું બ્લૉગ ડૉ. રામમનોહર લોહિયાની જયંતિ પર હતુ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણા દિવસોથી પોતાના બ્લૉગ દ્વારા વિપક્ષ પર નિશાન સાધી રહ્યા છે. આ વખતે તેમનું બ્લૉગ ડૉ. રામમનોહર લોહિયાની જયંતિ પર હતુ. આમાં તેમણે કોંગ્રેસ દ્વારા લોહિયાના સિદ્ધાંતોના અપમાનની વાત કહી. મોદીએ લખ્યુ, 'આજનો દિવસ દેશના મહાન ક્રાંતિકારીઓના સમ્માનનો દિવસ છે. મા ભારતીના અમર સપૂતો વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને તેમના સર્વોચ્ચ બલિદાન માટે દેશ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. આ સાથે જ અદ્વિતિય વિચારક, ક્રાંતિકારી તથા અપ્રતિમ દેશભક્ત ડૉ. રામ મનોહર લોહિયાને તેમની જયંતિ પર સાદર નમન. પ્રખર બુદ્ધિના ધની ડૉ. લોહિયામાં જનતા સાથે સંબંધિત રાજનીતિ પ્રત્યે ઉંડી આસ્થા હતી. જ્યારે ભારત છોડો આંદોલન દરમિયાન દેશના મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે યુવા લોહિયાએ આંદોલનની કમાન સંભાળી અને અડગ રહ્યા. તેમણે ભૂમિગત રહીને અંડરગ્રાઉન્ડ રેડિયો સેવા શરૂ કરી જેથી આંદોલનની ગતિ ધીમી ન પડે.'
ગોવા મુક્તિ આંદોલનના ઈતિહાસમાં ડૉ. લોહિયાનું નામ સુવર્ણ અક્ષરોમાં અંકિત છે. જ્યાં ક્યાંય પણ ગરીબો, શોષિતો, વંચિતોની મદદની જરૂર પડતી ત્યાં ડૉ. લોહિયા હાજર થઈ જતા. ડૉ. લોહિયાના વિચારો આજે પણ આપણને પ્રેરણા આપે છે. તેમણે કૃષિને આધુનિક બનાવવા તથા અન્નદાતાઓના સશક્તિકરણ વિશે ઘણુ બધુ લખ્યુ. તેમના આ વિચારોને અનુરૂપ એનડીએ સરકાર પ્રધાનમંત્રી ખેડૂત સમ્માન નિધિ, કૃષિ સિંચાઈ યોજના, e-Nam, સૉયલ હેલ્થ કાર્ડ અને અન્ય યોજનાઓના માધ્યમથી ખેડૂતોના હિતમાં કામ કરી રહી છે.
લોહિયા જાણતા હતા કે દેશ માટે ઘાતક બની ચૂકી છે કોંગ્રેસ
ડૉ. લોહિયા સમાજમાં વ્યાપક બનેલી જાતિ વ્યવસ્થા અને મહિલાઓ તેમજ પુરુષો વચ્ચેની અસમાનતાને જોઈને ખૂબ દુઃખી થતા હતા. ‘સબકા સાથ સબકા વિકાસ' નો અમારો મંત્ર તથા છેલ્લા પાંચ વર્ષોથી અમારો ટ્રેક રેકોર્ડ એ દર્શાવે છે કે અમે ડૉ. લોહિયાના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. જો તે આજે હોત તો એનડીએ સરકારના કાર્યોને જોઈને નિશ્ચિત રૂપે તેમને ગર્વ અનુભવાત. જ્યારે પણ ડૉ. લોહિયા સંસદની અંદર કે બહાર બોલતા તો કોંગ્રેસમાં આનો ભય સ્પષ્ટ દેખાતો હતો. દેશ માટે કોંગ્રેસ કેટલી ઘાતક બની ચૂકી છે તેને ડૉ. લોહિયા સારી રીતે સમજતા હતા. 1962માં તેમણે કહ્યુ હતુ, ‘કોંગ્રેસ શાસનમાં કૃષિ હોય કે ઉદ્યોગ કે પછી સેના, કોઈ પણ ક્ષેત્રમાં સુધારો થયો નથી.'
તેમના આ શબ્દ કોંગ્રેસ પછીની સરકારો પર પણ અક્ષરશઃ લાગુ થતા રહ્યા. બાદના કોંગ્રેસ શાસનકાળોમાં પણ ખેડૂતોને હેરાન કરવામાં આવ્યા. ઉદ્યોગોને હતોત્સાહિત કરવામાં આવ્યા(માત્ર કોંગ્રેસ નેતાઓના દોસ્તો અને સંબંધીઓના ઉદ્યોગો સિવાય) અને રાષ્ટ્રીય સુરક્ષાની અનદેખી કરવામાં આવી. કોંગ્રેસવાદનો વિરોધ ડૉ. લોહિયાના હ્રદયમાં રચ્યો રહ્યો. તેમના પ્રયાસોના કારણે જ 1967ની સામાન્ય ચૂંટણીમાં સર્વસાધન સંપન્ન અને શક્તિશાળી કોંગ્રેસને ઝટકો લાગ્યો હતો. તે સમયે અટલજીએ કહ્યુ હતુ - ડૉ. લોહિયાની કોશિશોનું જ પરિણામ છે કે હાવડા-અમૃતસર મેલથી આખી યાત્રા કોઈ કોંગ્રેસ શાસિત રાજ્યથી પસાર થઈ શકે છે. દૂર્ભાગ્યની વાત છે કે રાજનીતિમાં આજે આવા ઘટનાક્રમ સામે આવી રહ્યા છે જેને જોઈને ડૉ. લોહિયા પણ વિચલિત થઈ જતા.
લોહિયાના સિદ્ધાંતોનું અપમાન કરવામાં આવ્યુ
તે પક્ષ જે ડૉ. લોહિયાને પોતાના આદર્શ ગણાવતા નથી થાકતા તેમણે સંપૂર્ણપણે તેમના સિદ્ધાંતોને તિલાંજલિ આપી દીધી છે. અહીં સુધી કે આ પક્ષ ડૉ. લોહિયાને અપમાનિત કરવાનો કોઈ મોકો નથી છોડતા. ઓડિશાના વરિષ્ઠ સમાજવાદી નેતા શ્રી સુરેન્દ્રનાથ દ્વિવેદીએ કહ્યુ હતુ, ‘ડૉ. લોહિયા અંગ્રેજોના શાસનકાળમાં જેટલી વાર જેલ ગયા તેનાથી ઘણી વધુ વાર કોંગ્રેસની સરકારોએ જેલ મોકલ્યા.' આજે એ જ કોંગ્રેસ સાથે તથાકથિત લોહિયાવાદી પાર્ટીઓ તકવાદી મહામિલાવટી ગઠબંધન બનાવવા માટે બેચેન છે. આ વિડંબણા હાસ્યાસ્પદપણ છે અને નિંદનીય પણ છે. ડૉ. લોહિયા વંશવાદી રાજનીતિને હંમેશા લોકતંત્ર માટે ઘાતક માનતા હતા. આજે તે આ જોઈ જરૂર હેરાન-પરેશાન થતા કે તેમના ‘અનુયાયી' માટે પોતાના પરિવારોના હિત દેશહિતથી ઉપર છે.
ડૉ. લોહિયાનું માનવુ હતુ કે જે વ્યક્તિ સમતા, સમાનતા અને સમત્વ ભાવથી કાર્ય કરે છે, તે યોગી છે.દુઃખની વાત છે કે સ્વયંને લોહિયાવાદી કહેતી પાર્ટીઓએ આ સિદ્ધાંત ભૂલાવી દીધો. તે સત્તા, સ્વાર્થ અને શોષણમાં વિશ્વાસ કરે છે. આ પાર્ટીઓએ ગમે તેમ કરીને સત્તા છીનવવી, જનતાની ધન સંપત્તિને લૂંટવી અને શોષણ કરવુ તેમાં પીએચડી કરેલુ છે. ગરીબ, દલિત, પછાત અને વંચિત સમાજના લોકો સાથે જ મહિલાઓ આમના શાસનમાં પોતાને સુરક્ષિત નહોતા અનુભવતા કારણકે આ પાર્ટીઓ ગુનાહિત અને અસામાજિક તત્વોને ખુલ્લી છૂટ આપવાનું કામ કરે છે.
પુરુષો અને મહિલાઓની સમાનતાના પક્ષમાં રહ્યા લોહિયા
ડૉ. લોહિયા જીવનના દરેક ક્ષેત્રમાં પુરુષો અને મહિલાઓ વચ્ચે સમાનતાના પક્ષમાં રહ્યા. પરંતુ મતબેંકની રાજનીતિમાં ડૂબેલી પાર્ટીઓના આચરણથી અલગ જ રહ્યા. આ જ કારણ છે કે તથાકથિત લોહિયાવાદી પાર્ટીઓએ ત્રણ તલાકની અમાનવીય પ્રથાને ખતમ કરવા એનડીએ સરકારના પ્રયાસનો વિરોધ કર્યો. આ પાર્ટીઓએ એ સ્પષ્ટ કરવુ જોઈએ કે આમના માટે ડૉ. લોહિયાના વિચાર અને આદર્શ મોટા છે કે પછી મતબેંકની રાજનીતિ? આજે 130 કરોડ ભારતીયો સામે એ સવાલ છે કે - ‘જે લોકોએ ડૉ. લોહિયા સાથે પણ વિશ્વાસઘાત કર્યો તેમનાથી આપણે દેશ સેવાની આશા કેવી રીતે કરી શકીએ છીએ? સત્ય છે કે જે લોકોએ ડૉ. લોહિયાના સિદ્ધાંતો સાથે છળકપટ કર્યુ છે તે લોકો હંમેશાની જેમ દેશવાસીઓ સાથે પણ છળકપટ કરશે.'
આ પણ વાંચોઃ અમદાવાદ પૂર્વથી ભાજપના ધારાસભ્ય પરેશ રાવલે લોકસભા ચૂંટણી લડવાનો કર્યો ઈનકાર