'વાહ રે ભારત, વાહ રે ઇન્ડિયા', બળાત્કાર પર પણ રાજકારણ
સંસદના બન્ને ગૃહોમાં જ્યારે દિલ્હીના સામુહિક બળાત્કારને લઇને આપણા રાજનેતાઓ દ્વારા જે રોષ પ્રગટ કરવામાં આવ્યો ત્યારે એક સમયે એવું લાગ્યું કે ખરેખર વર્ષો અને દાયકાઓ પછી ભારત એકજૂટ થયો છે અને ચોક્કસપણે કોઇ સ્ટ્રોંગ પગલાં ભરાશે. પરંતુ સમય વિતતા બધું ઠેરનું ઠેર થઇ ગયું. દેશના નાગરીકોમાં જાગેલી ક્રાન્તિ યથાવત છે અને તે ન્યાય માટે આજે પણ એજ જુસ્સા સાથે લડી રહ્યાં છે પરંતુ મહિલાંઓ માટે મજબૂત કાયદો લાવવાની કે આવી નિંદનીય ઘટનાઓ કે જેના કારણે વૈશ્વિક ફલક પર ભારતને શરમજનક અવસ્થામાં મુકાવું પડે તેવું હવે પછી ક્યારેય પણ ના થાય તેવું કરવાના બદલે આપણા રાજનેતાઓએ પોતાની રાજકારણની ગેમ રમવાની શરૂ કરી દીધી.
બળાત્કાર અને છેડતીના બનાવોને લઇને તેઓ મનફાવે તેવા નિવદેનો કરીને આ ઘટનાને રાજકીય રંગ આપી રહ્યાં છે. આજે આલમ એવો થઇ ગયો છે કે ન્યાયની વાત છોડો તમામ પક્ષો આરોપ-પ્રત્યારોપ કરવામાંથી ઉંચા નથી આવી રહ્યાં. બળાત્કાર જેવી ઘટના પર પણ તેઓ રાજકારણ કરવામાંથી બહાર નથી આવી રહ્યાં.
મોહન ભાગવતનું નિવેદન
આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું છે કે બળાત્કારની ઘટનાઓ ભારતમાં ઓછી અને ઇન્ડિયામાં વધારે થાય છે. બળાત્કાર માટે પશ્ચિમી સંસ્કૃતિ જવાબદાર છે, બળાત્કાર શહેરોમાં વધારે થઇ રહ્યાં છે કારણ કે ત્યાં લોકો પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત છે. તેમના મતે, રેપ જેવી ઘટનાઓ 'ભારત'માં ક્યારેક-ક્યારેક થાય છે, પરંતુ 'ઇન્ડિયા'માં વારંવાર થાય છે. તમે ગામડાં અને જંગલોમાં જાઓ ત્યાં સામુહિક બળાત્કાર કે પછી યૌન શોષણ નથી થતાં. આ સાથે જ ભાગવતે કહ્યું કે નવા કાયદા ઉપરાંત લોકોએ ભારતીય સંસ્કૃતિ અને મહિલાઓ તરફ જોવાની દૃષ્ટી બદલવા તરફ ધ્યાન આપવું જોઇએ. મોહન ભાગવતે બળાત્કારીઓને ફાંસીની સજાની માંગ કરી છે.
કૈલાશ વિજયવર્ગિય મધ્યપ્રદેશ પ્રધાનનું નિવેદન
મધ્યપ્રદેશના ઉદ્યોગમંત્રી કૈલાશ વિજયવર્ગીયએ મહિલાઓને સલાહ આપી છે. તેમની આ વિવાદિત સલાહે ખાસો એવો વિવાદ જગાવ્યો છે. તેમના મતાનુસાર, એક જ શબ્દ છે મર્યાદા. મર્યાદાનું ઉલ્લઘંન થાય તો સીતા હરણ થાય છે. લક્ષ્મણ રેખા દરેક વ્યક્તિની ખેંચવામાં આવી છે. એ લક્ષ્મણ રખાને જો કોઇ ઓળંગસે તો સામે રાવણ બેસેલો છે, જે સીતાનું હરણ કરીને તેને લઇ જશે. તેમના આ પ્રકારના નિવેદન પર તીખી પ્રતિક્રિયાઓ વિરોધપક્ષ તરફથી આપવામાં આવી છે. મધ્યપ્રદેશ વિધાનસભાના વિપક્ષી નેતા અજય સિંહે તેમને બરખાસ્ત કરવામાં આવે તેવી માંગણી કરી છે. નોંધનીય છે કે સરકારી આંકડાઓ અનુસાર મહિલાંઓ પર થતાં અત્યાચારમાં મધ્યપ્રદેશ ટોચ પર છે. તેવામાં મધ્યપ્રદેશના એના એક કેબિનેટ મંત્રીના નિવદેનની આકરી ટીકા થઇ રહી છે.
કોંગ્રેસની ટિપ્પણી
કોંગ્રેસે ભાગવતના નિવેદન અંગે આપત્તિ વ્યક્ત કરી કહ્યું છે કે તેમની પાસે યોગ્ય માહિતી નથી. કોંગ્રેસના નેતા પીએલ પૂનિયાએ કહ્યું કે આ નિવદેન યોગ્ય નથી. લાગે છે કે મોહન ભાગવત પાસે યોગ્ય જાણકારી નથી. ગામડાંઓમાં બળાત્કારના મામલા વધારે થાય છે, પરંતુ ત્યાં મીડિયાની હાજરી નથી તેથી ઘટનાઓ બહાર આવતી નથી.
આરએસએસનો મત
આરએસએસ પોતાના નિવેદન પર કાયમ છે. આરએસએસના પ્રચાર પ્રમુખ મનમોહન વૈદ્યએ કહ્યું કે, સંઘના મનમાં ભારત અને ઇન્ડિયાની બે સંકલ્પના છે. સંઘના મતે ઇન્ડિયાનો અર્થ પશ્ચિમી સંસ્કૃતિ અને શહેરીકરણનો વઘારો, જ્યારે ભારતનો સંબંધ ભારતીય મૂલ્યો સાથે છે. જે લોકો શહેરીકરણ અને ઉપભોક્તાવાદની તરફ વધી રહ્યાં છે તે જ આવી હરકતો કરે છે, જ્યારે જેમનેા મૂલ્યો આજે પણ ભારતીય છે તે તેમાં સામેલ નથી થતાં.
અન્ય નેતાઓના વિવાદીત નિવેદન
અભિજીત મુખર્જીઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અને કોંગ્રેસના સાંસદ અભિજીત મુખર્જીએ એક વિવાદિત નિવેદન કર્યું હતું. અભિજીતે કહ્યું કે આ એક ફેશન બની ગઇ છે કે મહિલાઓ ડિસ્કોમાં જાય છે અને પછી મીણબત્તી લઇને પ્રદર્શન કરવા માટે રસ્તાઓ પર ઉતરી જાય છે. જો કે વિરોધ થતાં બાદમાં અભિજીતે ફેરવી તોળ્યું છે અને કહ્યું છે કે તેમના નિવેદનને ખોટી રીતે રજુ કરવામાં આવ્યું છે. તેમ છતાં મે જે શબ્દોનો ઉપયોગ કર્યો હતો તેને હું પરત લઉ છું અને મારા નિવેદન બદલ માફી માંગુ છું.
બનવારીલાલ સિંહઃ રાજસ્થાન વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય બનવારીલાલ સિંહે કહ્યું કે રાજ્યમાં જાતીય સતામણીની વધતી જતી ઘટનાઓને રોકવા માટે છોકરીઓને સ્કર્ટ પહેરતી અટકાવવી જોઇએ. પ્રદેશના મુખ્ય સચિવને લખેલા એક પત્રમાં ધારાસભ્યએ કહ્યું છે કે રાજ્યની ઘણી પ્રાઇવેટ સ્કૂલોએ સ્કર્ટને છોકરીઓનો ગણવેશ બનાવી દિધો છે. જેના કારણે છોકરીને અભદ્ર કોમેન્ટસ સાંભળવી પડે છે. તેમને કહ્યું હતું કે સરકાર છોકરીઓને જાતીય સતામણીના ભોગથી બચાવવા માટે ખાનગી સ્કૂલોને આમ કરતાં રોકે. તેમને કહ્યું હતું કે સ્કર્ટના બદલે ટ્રાઉજર્સ અને શર્ટસ અથવા સલવાર સૂટને યૂનિફોર્મ બનાવવો જોઇએ. તેમણે પણ વિવાદ ચગાવ્યો હતો.
અનીસૂર રહેમાનઃ સીપીએમના સીનિયર નેતા અને પશ્ચિમ બંગાળના પૂર્વ મંત્રી અનીસૂર રહેમાને મર્યાદાઓની બધી હદો તોડી નાખી હતી. તેમણે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીને પૂછ્યું કે 'તેઓ રેપ માટે કેટલો ચાર્જ લેશે?' ડાબેરી ફ્રંટ તરફથી વિધાનસભામાં ઉપનેતા રહેમાને ઉત્તરી દિનાજપૂર જિલ્લાના ઇટાહારમાં પબ્લિક રૈલી દરમિયાન મુખ્યમંત્રી પર આવો સવાલ કર્યો હતો. જોકે આ ટીપ્પણી પર ભારે હોબાળો મચતા તેમણે આ અંગે માફી માગી લીધી હતી.
બોસ્તા સત્યનારાયણઃ આંધ્રપ્રદેશના કોંગ્રેસ પ્રમુખ બોસ્તા સત્યનારાયણને લોકોના ગુસ્સોનો ભોગ ત્યારે બનવું પડ્યું હતું જ્યારે તેમણે દિલ્હીના સામુહિક બળાત્કારને નાની અમથી ઘટના કહીં હતી અને કહ્યું હતું કે મહિલાંઓએ મોડી રાત્રે બહાર જવું ના જોઇએ.
વચનો નહીં પગલાંની જરૂર
કેન્દ્ર સરકાર હોય કે પછી વિવિધ પક્ષના રાજકારણીઓ દ્વારા દિલ્હીમાં ચાલતી બસમાં થયેલા સામુહિક બળાત્કારને લઇને વચનો આપી રહ્યાં છે કે આરોપીઓને આકરામાં આકરી સજા ફટકારવામાં આવશે, આરોપીઓને ફાંસી આપવામાં આવે તેવી માંગ અમે કરીશું તેવા નિવેદનો પણ લાલુ પ્રસાદ યાદવ સહિતના નેતાઓ આપ્યા છે. પરંતુ 16 ડિસેમ્બરે બનેલી આ ઘટના અને ઘટનાનો ભોગ બનનારી પીડિતાના મોત પછી પણ દોષિતો સામે ત્વરિત પગલાં ભરી કોઇ સજા સંભળાવવામાં આવી નથી. ઉલ્ટાનું આ ઘટના બાદ પણ દેશના અનેક સ્થળો પર બળાત્કાર અને મહિલાઓ સાથે છેડતીના કિસ્સાઓ બહાર આવી રહ્યાં છે ત્યારે આ સમયે માત્ર વચનો નહીં પણ ત્વરિત અસર કરે તેવા પગલાં લેવાની જરૂર છે.