રાષ્ટ્રપતિએ 108 ભારતીયોને વિવિધ પદ્મ પુરસ્કારથી સ્ન્માનિત કર્યા
દેશના આ સર્વોચ્ચ નાગરિક એવોર્ડ્સમાં પદ્મવિભૂષણ એવોર્ડ 4 નામાંકિત હસ્તીઓને આપવામાં આવ્યો છે. આ વ્યક્તિત્વોમાં દિલ્હીનાં વિખ્યાત ચિત્રકાર સૈયદ હૈદર રઝા, શિક્ષણ ક્ષેત્રમાં સારું યોગદાન આપનાર પ્રૉફેસર યશપાલ, કર્ણાટકનાં જાણીતા વૈજ્ઞાનિક રોદમ નરસિમ્હા અને ઓડિશાનાં પ્રખ્યાત શિલ્પકાર મોહપાત્રનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ભારત સરકારે 24 વ્યક્તિઓનું પદ્મભૂષણ પુરસ્કારથી સન્માન કર્યું છે. આ સન્માન મેળવનારી વ્યક્તિઓમાં પીઢ ફિલ્મ અભિનેત્રી શર્મિલા ટાગોર, ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્ના(મરણોત્તર), કોમેડિયન અને ફિલ્મકાર જસપાલ ભટ્ટી(મરણોત્તર), શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ અબ્દુલ રાશિદ ખાન, ઉદ્યોગપતિ અને ગોદરેજ ગ્રુપનાં માલિક અદી ગોદરેજ, લંડન ઓલિમ્પિક્સમાં કાંસ્ય ચંદ્રક જીતનાર મહિલા બોક્સર મેરી કોમ અને ટીમ ઈન્ડિયાનાં ભૂતપૂર્વ કેપ્ટન અને ‘ધ વૉલ'નાં નામથી જાણીતા રાહુલ દ્રવિડ સમાવેશ થાય છે.
આ સિવાય 80 હસ્તીઓને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યા છે, જેમાં બોલીવૂડ અભિનેત્રી શ્રીદેવી, નાના પાટેકર, રમેશ સિપ્પી, શાયર નિદા ફાઝલી, લંડન ઓલિમ્પિક્સમાં કાંસ્ય ચંદ્રક જીતનાર પહેલવાન યોગેશ્વર દત્ત, લંડન ઓલિમ્પિક્સમાં નિશાનબાજીમાં સિલ્વર મેડલ જીતનાર વિજય કુમાર અને ફેશન ડિઝાઈનર રિતુ કુમારનો સમાવેશ થાય છે.