પ્રણવ મુખર્જીએ કેજરીવાલનું રાજીનામું મંજૂર કર્યું, દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ
નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામાં બાદ માનવામાં આવી રહ્યું હતું કે રાષ્ટ્રપતિ તેમનું રાજીનામું મંજૂર કર્યા બાદ ચૂંટણી સુધી કાર્યકારી મુખ્યમંત્રી બની રહેવા માટે કહી શકે છે, પરંતુ એવું કંઇ થયું નહીં. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કેજરીવાલનું રાજીનામુ મંજૂર કરતા દિલ્હીમાં સોમવારથી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધું છે.
ઉપરાજ્યપાલ નજીબ જંગના કાર્યકાળથી સોમવારે જારી એક નિવેદન અનુસાર, 'રાષ્ટ્રપતિએ કેન્દ્રીય મંત્રિમંડળની ભલામણ પર દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત તેમના મંત્રિમંડળનું રાજીનામું રાષ્ટ્રપતિએ તાત્કાલિક ધોરણે સ્વીકારી લીધું છે.'
રાજભવનથી પ્રાપ્ત જાણકારી અનુસાર વિધાનસબાને અનિશ્ચિતકાળ માટે મોકૂફ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ લોકસભાને સોમવારે જણાવ્યું કે મુખર્જીએ દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાના કેન્દ્રીય મંત્રિમંડળની ભલામણનો સ્વીકાર કરી લીધો છે.
કોંગ્રેસના બાહ્ય સમર્થન સાથે કેજરીવાલ સરકાર 49 દિવસો સુધી જ ચાલી શકી. જંગે વિધાનસભા અધ્યક્ષ એમ.એસ. ધીરને પત્ર લખીને જણાવ્યું હતું કે તેમની મંજૂરી વગર જનલોકપાલ બિલ ગૃહમાં રજૂ કરી શકાય નહીં. જોકે કેજરીવાલ પોતાની વાત પર અડી રહ્યા અને જનલોકપાલ બિલ ગૃહમાં પાસ નહીં થઇ શકવાને પગલે તેમણે પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું.